નવી દિલ્હી: સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંકટને જોતાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), રિકરિંગ ડિપોઝિટ (આરડી) તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતેદારો માટે ફરજીયાત ન્યૂનતમ થાપણની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારી દીધી છે. નાણામંત્રાલયે ટ્વીટર પર તેની જાણકારી આપી હતી. હવે પીપીએફ, આરડી અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 2019-2020ની ફરજીયાત ન્યૂનતમ થાપણને 30 જૂન સુધી જમા કરાવી શકાશે.

નાણામંત્રાલયે ટ્વીટમાં કહ્યું છે કે, સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર નિરાકરણ માટે દેશમાં લાગૂ લોકડાઉનને જોતાં નાની બચત કરનાર જમાકર્તાઓના હિતોની રક્ષા માટે પીપીએફ, આરડી તથા સુકન્યા સમૃદ્ધિ ખાતેદારો માટે જોગવાઈમાં છૂટછાટ આપવામાં આવી છે.

આ ખાતાને સક્રિય રાખવા માટે ખાતેદારોને દર વર્ષે એક નક્કી થાપણ જમા કરાવવાની હોય છે. આમ નહીં થવાની સ્થિતિમાં ખાતેદારો પાસે વિલંબ ચાર્જ લેવામાં આવતો હતો. ખાતેદારો સામાન્ય નાણાંકીય વર્ષના અંતમાં આ યોજનાઓમાં જમા કરાવે છે કારણ કે તેમને આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ છૂટ મળે છે. આમ આ વખતે કોરોનાના લીધે વણસેલી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે નાની બચત કરતાં ખાતેદારોને રાહત આપી છે.