નવી દિલ્હી: કોરોનાની મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલી કંપની ઈન્ડિગોએ પોતાના 10 ટકા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ રોનોજોય દત્તાએ આજે જ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતું કે, કંપની હાલમાં ગંભીર રીતે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. તમામ સંભવિત પરિસ્થિતીઓ પર વિચાર કર્યા બાદ 10 ટકા કર્મચારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે કર્મચારીઓને વિદાય આપશું તેમના માટે અમે ‘6E કેયર પેકેજ’ બનાવ્યું છે, જેથી કર્મચારીઓને મોટી મદદ મળી શકશે.


6E કેયર પેકેજ મુજબ ઈન્ડિગોમાંથી હટાવવામાં આવેલા તમામ કર્મચારીઓને આશરે 15 મહિનાનો પગાર મળશે. આ સિવયા અન્ય સુવિધાઓ પણ મળશે.

જે કર્માચારીઓની નોકરી જશે તેમને ઈન્ડિગો નોટિસ પે મુજબ જેટલા મહિનાનો નોટીસ પીરિયડ આપવામાં આવશે, તેટલા મહિના તેમને પૂરો પગાર આપશે.

ઈન્ડિગોના સીઈઓએ કહ્યુ હતું કે, આ પહેલો એવો અવસર છે કે, કંપનીએ આવું પગલુ ભરવુ પડ્યું હોય. 31 માર્ચ 2019 સુધી કંપનીના કુલ 23,531 કર્મચારી હતા. કોરોનાના કારણે એવિએશન સેક્ટર સમગ્ર રીતે પ્રભાવિત થયુ છે. દેશમાં લગભગ બે મહિનાથી ઉડાનો પર પ્રતિબંધ છે. જો કે, 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટોને મંજૂરી આપી છે. જો કે, હજૂ પણ તેને પાટા પર આવતા વાર લાગશે.

કુલ 262 એયર ક્રાફ્ટ વાળી ઈન્ડિગો એરલાઈન્સમાં કુલ આશરે 22000 કર્મચારી કામ કરે છે. 10 ટકા કર્માચારીઓને હટાવવામાં આવે તો આશરે 2200 કર્મચારીઓની નોકરી જઈ શકે છે.