નવી દિલ્હીઃ કોરોનાવાયરસના કારણે લોકડાઉન જાહેર થતાં અર્થતંત્રની હાલત બગડી ગઈ છે. લોકોને રાહત આપવા માટે રીઝર્વ બેંકે રેપો રેટ અને રીવર્સ રેપો રેટ ઘટાડ્યા છે. સાથે સાથે  હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની છૂટ પણ આપી છે.


સામાન્ય લોકોને લાગે છે કે, આ મોટી રાહત છે પણ વાસ્તવમાં ઈએમઆઈ ત્રણ મહિના માટે નહીં ભરવાનો નિર્ણય કરનારને આ નિર્ણય બહુ મોંઘા પડશે. ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરનારે પ્રતિ 1000 રૂપિયાની લોન પર સરેરાશ 25 રૂપિયા વ્યાજ ભરવું પડશે. મતલબ કે એક લાખ રૂપિયાની લોન પર 2500 રૂપિયા વ્યાજ ભરવું પડશે. સામાન્ય હોમ લોન દસ લાખ રૂપિયા તો હોય જ તે જોતાં ત્રણ મહિના ઈએમઆઈ ના ભર્યો તો 25 હજાર રૂપિયા વધારાના ભરવા પડશે.  જે લોકોની લોન મોટી હોય તેમણે તો વધારે રકમ આપવી પડશે. એ જ રીતે વ્હીકલ લોન પાંચેક લાખ રૂપિયાની હોય તો તેના માટે 12,500 વધારાના ભરવા પડશે. આ વ્યાજની રકમ જોતાં જે લોકો પગારદાર છે તેમણે આ વિકલ્પ અપનાવવા જેવો નથી.

બેન્કિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે.  રિઝર્વ બેન્કે સામાન્ય લોકોને રાહત આપવા ઈએમઆઈ પર ત્રણ મહિના માટે મોરાટોરિયમ લગાવાયું છે.   આ દરમિયાન ઈએમઆઈ નહીં ચૂકવાય તો તેના પર બેન્ક સાધારણ દરે વ્યાજ વસૂલશે. બેન્કને આ રકમ તમારે ભવિષ્યમાં ચૂકવવાની છે પણ ચૂકવવાની તો છે જ તે જોતાં વ્યાજમાં કોઈ રાહત નથી મળવાની. આ રકમ બેંક મુદ્દલમાં ઉમેરીને ઈએમઆઈની રકમ વધારી શકે છે અથવા ઈએમઆઈની રકમમાં કોઈ ફેરફાર નહીં કરીને લોનનો સમયગાળો વધારી શકે છે. રિઝર્વ બેન્કના આ પગલાંથી જેમની આવક લૉકડાઉનના કારણે બંધ થઈ છે તેમને કામચલાઉ રાહત મળશે પણ તેમણે જૂનથી પોતાના ઈએમઆઈ અગાઉની જેમ જ નિયમિત રીતે ચૂકવવા પડશે.