નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે અનેક મોટી જાહેરાતો કરી છે. રિલાયન્સે કહ્યું કે, 30 હજારથી ઓછો પગાર ધરાવતા તેમના કર્મચારીઓને તે આ મહિનાને બે વખત પગાર આપશે.


કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ઓછા પગારધારકોને કેશફ્લોને બચાવવા અને કોઇ ફાઇનાન્સિયલ બર્ડન ઓછું કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તેમના કર્મચારીઓને રોકડની અછત નહી રહે. જો કોઇ ઇમરજન્સી આવે છે તો કર્મચારી પાસે પૈસા હશે જેથી તે ખર્ચ કરી શકશે.

કંપનીએ કહ્યું કે રિલાયન્સ પરિવારના 600000 સભ્યો કોરોના વાયરસ વિરુદ્દ લડવા પુરી રીતે તૈનાત છે. રિલાયન્સ ફાઉન્ડેશને બીએમસી સાથે એક 100 બેડની હોસ્પિટલ આપી જે ફક્ત કોરોના વાયરસના દર્દીઓ માટે છે. રિલાયન્સે તાજેતરમાં જ કહ્યું હતું કે લોકડાઉનના કારણે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા અને ટેમ્પરરી કર્મચારી કામ પર નહી આવી શકતા તેમનો પગાર ચાલુ રહેશે. તે સિવાય કંપનીએ રોટેશન ડ્યૂટી અને વર્ક્ ફ્રોમ હોમની સુવિધા પણ આપી છે.


ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે.