નવી દિલ્હીઃ યસ બેંક પર આવેલ સંકટને કારણે તેના ખાતાધારકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગમાંથી તસવીરોમાં ખાતાધારકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. નક્કી મર્યાદા અનુસાર 50,000 રૂપિયા ઉપાડવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં યસ બેંકના એટીએમ ખાલી પડ્યા છે તો યસ બેંકના ખાતાધારકો હવે કોઈ અન્ય બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી નહીં શકે.


દિલ્હી, યૂપી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં યસ બેંકના ATM ખાલી

દેશની રાજધાની દિલ્હી, યૂપી, ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદ્રાબાદ સહિત અનેક રાજ્યોમાં યસ બેંકના એટીએમ ખાલી પડ્યા છે. બેંકોની બહાર લોકોની લાઈનો લાગી છે. લોકોનો આરોપ છે કે નક્કી મર્યાદા 50,000 રૂપિયા પણ તેઓ બેંકમાંથી ઉપાડી નથી શકતા. દિલ્હીના એક ખાતાધારકે જણાવ્યું કે, તે એટીએમમાંથી રૂપિયા ન ઉપાડી શક્યા. બીજી બેંકના એટીએમથી પણ યસ બેંકના ખાતાધારકો રૂપિયા નથી ઉપાડી શકાતા. જ્યારે ગુજરાતમાં પણ બેંકોની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સુરક્ષાની દૃષ્ટિએ બેંકોની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

પાયલ રોહતગીના કેન્સર પીડિત પિતાના રૂપિયા પણ ફસાયા, જગન્નાથ મંદિરના પણ કરોડો અટવાયા

એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પાયલ રોહતગીના પિતાના રૂપિયા પણ યસ બેંકમાં ફસાઈ ગયા છે. તમને જણાવીએ કે, પાયલના પિતા કેન્સરથી પીડિત છે. પાયલ રોહતગીના પિતા શશાંક રોહતગીના અંદાજે બે કરોડ રૂપિયા અટવાઈ ગયા છે. જ્યારે જગન્નાથ મંદિરના પણ 545 કરોડ રૂપિયા યસ બેંકમાં ફસાઈ ગયા છે. ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના પણ 164 કરોડ રૂપિયા ફસાયા છે. આ રૂપિયા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરાવવામાં આવનારા કામો માટે જમા કરવામાં આવ્યા હતા.