નવી દિલ્હી: પહેલી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આર્થિક બજેટ રજૂ કરશે. તે પહેલા નાણામંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણમાં આ વર્ષે વિકાસ દરમાં ઘટાડો થવાનું અનુમાન છે જ્યારે આવતા વર્ષે વિકાસ દરમાં વધારો થવાનું અનુમાન છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનો ત્રીજો આર્થિક સર્વેક્ષણ છે.


આર્થિક સર્વેક્ષણમાં કોરોના વાયરસ મહામારી અને તેને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2021-22માં ઝડપથી વધશે તેવું અનુમાન છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દરમાં 23.9 ટકા જ્યારે બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો છે. ચાલુ વર્ષે 7.7 ટકા જીડીપીમાં ઘટાડાનું અનુમાન છે. આવતા વર્ષે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ દર 11 ટકા રહેવાનું અનુમાન છે.

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વેન્કટ સુબ્રમણિયમની આગેવાનીવાળી ટીમે 2020-21ની આર્થિક સમીક્ષા તૈયાર કરી છે. તેમાં અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રો અંગે જાણકારી આપવાની સાથે સાથે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે કરવામાં આવેલા સુધારા વિશે સૂચનો પણ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આર્થિક સર્વેક્ષણ છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યસ્થાની તસવીરો સામે મુકે છે. તેની સાથે જ તેમાં ભવિષ્યમાં અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે રોડમેપ પણ રજૂ કરવામાં આવે છે.