નવી દિલ્હીઃ દેશમાં રોજગાર સર્જને લઇને સરકારના મતે સારા દિવસ આવશે. સરકારનો અંદાજ છે કે આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ સારા પગારવાળી નોકરીઓ પેદા થશે અને તેની સંખ્યા 2030 સુધીમાં  વધીને આઠ કરોડ રૂપિયા થઇ જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2019-20 રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ અનુસાર, 2025 સુધીમાં દેશમાં સારા પગારવાળી ચાર કરોડ નોકરીઓ પેદા થશે અને 2030 સુધીમાં તેની સંખ્યા વધીને આઠ કરોડ થઇ જશે.


આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારત પાસે શ્રમ આધારિત નિકાસને પ્રોત્સાહન આપવા માટે ચીન સમાન અભૂતપૂર્વ અવસર છે. ભારતમાં અસેમ્બલ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના કાર્યક્રમોમાંથી દુનિયાના નિકાસ બજારમાં  ભારતની હિસ્સેદારી 2025 સુધી 3.5 ટકા થઇ જશે જે 2030 સુધીમાં 6 ટકા થઇ જશે. આર્થિક સર્વેક્ષણ અનુસાર, 2025 સુધીમાં ભારતને પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે જરૂરી મૂલ્ય સંવર્ધનમાં નેટવર્ક ઉત્પાદનોના નિકાસમાં એક તૃતીયાંશનો વધારો થશે. આર્થિક સર્વેક્ષણમાં ચીન જેવી રણનીતિ અપનાવવાની વાત કરાઇ છે.