નવી દિલ્હી: જો તમારી વાર્ષિક આવક 20 લાખ રુપિયા સુધીનો હોય તો તમને આગામી વર્ષથી ઇન્કમ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર 1 ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં ફાઈનાન્સ મિનિસ્ટર ઇન્કમ ટેક્સમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ થોડા દિવસ પહેલા જ ટેક્સમાં ઘટાડાના સંકેત આપ્યા હતા. ટેક્સ રેટ પર સવાલ પુછવા પર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ રેટને વધારે તર્કસંગત બનાવવા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


જો સરકાર નવા ઈન્કમટેક્સ સ્લેબનો અમલ કરશે તો સૌથી વધુ રાહત વર્ષે રૂ. 7થી 20 લાખ કમાતા લોકોને મળશે. હાલ વાર્ષિક રૂ. 5થી 10 લાખની કમાણી કરતા લોકોએ 20% ટેક્સ ભરવાનો થાય છે, જ્યારે રૂ. 10 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 30% ટેક્સ ભરવો પડે છે.

વાર્ષિક 7 લાખ રુપિયા સુધીની આવક પર 5% ટેક્સ પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 લાખ રુપિયાની સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 કે 12 લાખ રુપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 થી 10 લાખ રુપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.



10થી 20 લાખ રુપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 10 લાખ રુપિયાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. 20 લાખથી 10 કરોડ રુપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ સિવાય 10 કરોડ રુપિયાથી વધારેની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે એકસામટી રકમ ભરનારા લોકોને પણ છૂટ આપવાનો નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી બજેટમાં એકસામટી છૂટ એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40 હજાર સુધી વધી શકે છે. આ ડિડક્શન હેઠળ તમને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ રિએમ્બર્સમેન્ટ અને અન્ય એલાઉન્સની છૂટ મળે છે.

સેક્શન 80સી હેઠળ બચત માટે રૂ. 2.50 લાખ સુધીના ટેક્સ એક્ઝમ્પ્શનની મંજૂરી અપાઈ શકે છે. હાલમાં 80સી હેઠળ રૂ. 1.5 લાખ સુધીની છૂટ છે. સેક્શન 80સી હેઠળ હાલ પીપીએફ અને એનએમસીમાં કરાયેલા રોકાણ પણ સામેલ હોય છે. હવે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રૂ. 50 હજાર સુધી અને પીપીએફમાં રૂ. 2.5 લાખ સુધીના રોકાણ ટેક્સ ફ્રી હોઈ શકે છે.