નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના છ કરોડથી વધારે સભ્યો માટે ખુશખબરી છે. સરકારે તહેવારની સીઝન  પહલા પીએફના વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકાના દરે વ્યાજ મળશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે મંગળવારે આ અંગેન જાણકારી આપી હતી.




પીએફઓ માટે નિર્ણય લેનારી સંસ્થાએ ગત નાણાકીય વર્ષ માટે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 7.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. જે બાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું. ગંગવારે એક કાર્યક્રમ બાદ મીડિયાને કહ્યું, ફેસ્ટિવલ સીઝન પહેલા ઈપીએફઓના 6 કરોડથી વધારે સભ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ મળશે.



હાલ ઈપીએફ એકાઉન્ટમાં દાવાની પતાવટ 8.55 ટકા વ્યાજ દર પર કરવામાં આવી રહી છે. 2017-18 દરમિયાન આ દર લાગુ હતો. 2017-18માં મળેલું વ્યાજ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે. 2016-17માં વ્યાજ દર 8.65%, 2015-16માં 8.8%, 2014-15માં 8.75% વ્યાજ મળ્યું હતું.