નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. આ માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 45 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી શકે છે. આ દાવો ન્યૂઝ એજન્સી રોયટર્સે કર્યો છે.  રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, સરકાર ખજાનો વધારવા માટે આ પગલું ભરવાની છે. જો એમ થાય છે કે એકવાર ફરી આરબીઆઇ અને સરકાર વચ્ચે મતભેદ વધી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બેન્કે કેન્દ્રને ડિવિડન્ડના  રૂપમાં 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી જેમાંથી  ચાલુ નાણાકીય વર્ષ 2019-2020 માટે 1.48 લાખ કરોડ રૂપિયા આપી દેવામાં  આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, આરબીઆઇ સામાન્ય રીતે કરન્સી અને સરકારી બોન્ડના ટ્રેડિંગથી  નફો કમાય છે. આ કમાણીનો એક હિસ્સો આરબીઆઇ પોતાના સંચાલન અને ઇમરજન્સી ફંડ તરીકે રાખે છે. ત્યારબાદ બાકી રકમને ડિવિડન્ડના રૂપમાં સરકાર પાસે જાય છે.

રોયટર્સને  એક અધિકારીએ કહ્યુ કે, ચાલુ નાણાકીય વર્ષ ખૂબ મુશ્કેલ છે. આ વર્ષે આર્થિક મંદીને કારણે વિકાસ  દર 11 વર્ષના નીચલા સ્તર પર  રહી શકે છે.  એવામાં આરબીઆઇ પાસેથી મળેલી આર્થિક મદદથી સરકારને રાહત મળી શકે છે. સૂત્રોના મતે  અમે  આરબીઆઇની મદદને એક નિયમિત પ્રક્રિયા બનાવવા માંગતા નથી પરંતુ આ વર્ષને  અપવાદ માની  શકાય છે. સરકારને 35000થી લઇને 45000 હજાર કરોડ રૂપિયાની મદદની જરૂર છે.