નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની આજે 39મી બેઠક યોજાઈ હતી.જેમાં મોબાઈલ ફોન પર જીએસટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોબાઈલ પર લાગતા જીએસટી દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. એવામાં મોબાઈલ ફોન મોંઘા થઈ જશે.


આ બેઠકમાં નાણામંત્રી સીતારમણ સહિત કેટલાક રાજ્યોના નાણામંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં કોરોના વાયરસના કારણે અર્થવ્યસ્થા પર પડનારી અસર અંગે પણ ચર્ચા થઈ હતી.


જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સીતારમણે જણાવ્યું કે, હવે માચિસ પર 12 ટકા જીએસટી લાગશે. પહેલા હાથથી બનાવેલી માચિસ પર 5 ટકા અને મશીનથી બનાવેલી માચિસ પર 18 ટકા ટેક્સ લગાતો હતો.
આ સિવાય એરક્રાફ્ટના મેન્ટેનસ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO) સર્વિસ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા 18 ટકા સ્લેબમાં આવતું હતું. જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમણે વેપારીઓને રાહત આપતા જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2018-19 માટે વાર્ષિક રિટર્ન દાખલ કરવાની ડેડલાઈનને 30 જૂન 2020 સુધી વધારવામાં આવશે.


દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “કોરોના માત્ર એક સ્વાસ્થ્ય સંકટ નથી. આ સૌથી વધુ ખતરનાક આર્થિક સંકટ બની રહ્યું છું. જેનો સામનો દુનિયા કરશે. આ સંકટના પરિણામસ્વરૂપ મોટા પાયે નોકરીઓને પણ નુકસાન થશે અને સરકારને મહેસૂલની અછત વર્તાશે. મેં જીએસટી પરિષદ પાસે માંગ કરી છે કે, આ મુદ્દે ચર્ચા થવી જોઈએ અને સિસ્ટમ નિષ્ફળ જાય તે પહેલા જ પગલા લેવા જોઈએ. ”