Income Tax Return: નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં જે લોકોની આવક ટેક્સ સ્લેબમાં આવે છે તેઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. જેમની આવક ટેક્સ સ્લેબની બહાર આવે છે તેઓએ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનારા લોકોને 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે. નવી ટેક્સ સિસ્ટમ અનુસાર 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.


ઉદાહરણ તરીકે જો તમારી આવક 7.50 લાખ રૂપિયા છે, તો આવી સ્થિતિમાં તમારે 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ક્લેમ પછી ઇન્કમટેક્સ ચૂકવવો જરૂરી નથી, પરંતુ આવી સ્થિતિમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.


આ સાથે તમને જૂની ટેક્સ સિસ્ટમમાં મહત્તમ 12,500 રૂપિયાની ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે. જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં આ છૂટ 25,000 રૂપિયા છે. આ બંને કેસમાં તમારે ઝીરો કર આપવાનો રહેશે. પરંતુ તમારે ચોક્કસ સંજોગોમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નિષ્ણાતોના મતે જો ટેક્સ આપવાનો રહેતો નથી તો કરદાતાઓ વિચારે છે કે તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી નથી, પરંતુ એવું નથી.


કયા લોકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે?



  1. જો તમારી ગ્રોસ સેલેરી કોઈપણ પ્રકારના ડિડક્શન વિના ટેક્સ સ્લેબમાં આવે છે તો તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

  2. જૂની ટેક્સ વ્યવસ્થા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના એવા વરિષ્ઠ નાગરિકો માટે ITR ફાઇલ કરવું જરૂરી છે જેમની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે.

  3. 60 થી 80 વર્ષની વચ્ચેના વરિષ્ઠ નાગરિકો કે જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે તેમના માટે ITR ફાઇલ કરવું જરૂરી છે.

  4. 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો કે જેમની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તેઓએ પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

  5. જે કરદાતાઓ પાસે 50 લાખ રૂપિયાથી વધુની બેન્ક થાપણો છે તેમને આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

  6. જો તમારી વ્યવસાયિક આવક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ છે, તો આવી સ્થિતિમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

  7. જેમની TCS/TDS 25,000 રૂપિયાથી વધુ છે તેમના માટે ITR ફાઇલ કરવું જરૂરી છે.

  8. જો તમે વિદેશી સંપત્તિમાંથી આવક મેળવી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમારા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

  9. જો તમે વિદેશ પ્રવાસ પર 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરો છો તો તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.


જો તમે ITR ફાઇલ નહીં કરો તો આ મોટું નુકસાન થઈ શકે છે


નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે પેનલ્ટી વિના આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 જુલાઈ 2024 છે. જો તમે 31 જુલાઈ પછી ITR ફાઈલ કરો છો તો તમારે 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની આવક પર તમારે 5000 રૂપિયા પેનલ્ટી ચૂકવવા પડશે.