મુંબઈઃ હવે યાત્રીઓએ રેલવેમાં પ્રવાસ દરમિયાન ચા, નાસ્તો અને ભોજન માટે વધારે ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડશે. રેલવે બોર્ડના પર્યટન અને ખાન-પાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ સર્ક્યુલર અનુસાર રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનમાં ચા, નાસ્તો અને ખાવાનું મોંઘું થવા જઈ રહ્યું છે. આ ટ્રેનમાં ટિકિટ લેતા સમયે ચા, નાસ્તો અને ખાવાના રૂપિયા પણ આપવા પડે છે. જ્યારે અન્ય ટ્રેનના પ્રવાસીઓ પર પણ મોંઘવારીનો માર પડશે.


રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેનો માટે લાગુ નવા દરો મુજબ સેકન્ડ એસીના મુસાફરોને હવે 15 રૂપિયાની જગ્યાએ ચા માટે 20 રૂપિયા ચૂકવવા પડશે. દુરંતોમાં સ્લીપર ક્લાસમાં નાસ્તો અથવા ભોજન અગાઉ 80 રૂપિયામાં મળતો હતો જે 120 રૂપિયા હશે. તો સાંજના ચાના ભાવ 20 રૂપિયાથી વધારીને 50 કરવામાં આવ્યો છે.

ટિકિટિંગ સિસ્ટમમાં નવું મેનૂ અને શુલ્ક 15 દિવસમાં અપડેટ કરવામાં આવશે જ્યારે તે 120 દિવસ (ચાર મહિના) પછી લાગુ કરવામાં આવશે. નવા મેની અનુસાર રાજધાનીના પ્રથમ એસી કોચમાં ભોજન 145 ની જગ્યાએ 245 રૂપિયામાં મળશે. સુધારેલા દરો માત્ર પ્રીમિયમ ટ્રેનોના મુસાફરોને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ અસર કરશે. નિયમિત શાકાહારી ભોજન મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 80 રૂપિયામાં મળશે, જેની કિંમત હાલમાં 50 રૂપિયા છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એગ્સ બિરયાની રેલ્વે મુસાફરોને 90 રૂપિયામાં અને ચિકન બિરયાનીને 110 રૂપિયામાં આપશે. 130 રૂપિયાના ભાવે નિયમિત ટ્રેનોમાં પણ ચિકન કરી પીરસવામાં આવશે.

સવારની ચા કરતાં સાંજની ચા વધુ મોંઘી હોવા અંગે રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે શેકેલી બદામ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે સાંજના ચાની સાથે આપવામાં આવશે. રેલવે બોર્ડના એક અધિકારીએ કિંમતોમાં વધારો કરવાની તરફેણમાં કહ્યું હતું કે ‘અમે રેલવેમાં કેટરિંગ સર્વિસની ગુણવત્તામાં સુધારો લાવવા માંગીએ છીએ. તેથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. 2014માં છેલ્લી વખતના દરો બદલવામાં આવ્યા હતા.