નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને આગામી પહેલી નવેમ્બરથી મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કરવા જઈ રહી છે. એવામાં જો તમે પણ એસબીઆઈ ખાતામાં પૈસા રાખ્યા છે. તો તેના પર મળનારું વ્યાજ ઘટી જશે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. બીજી તરફ સરકાર ડિજીટલ પેમેન્ટ માટે નિયમોમાં મોટા ફેરફાર કરી રહી છે.


એસબીઆઈ એક લાખ રૂપિયા સુધીની થાપણો પર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે. 1 નવેમ્બરથી 1 લાખ રૂપિયા પરનો વ્યાજ દર 3.50 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરવામાં આવશે. બેંકના આ બદલાતા નિયમની અસર લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે.



હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ એક નિર્દેશ જારી કર્યો હતો કે 1 નવેમ્બરથી વેપારીઓ ડિજિટલ ચુકવણી લેવાનો ઇનકાર કરી શકશે નહીં. નવા નિયમ મુજબ વેપારી અને ગ્રાહકો પાસેથી 1 નવેમ્બરથી વેપારી ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લેવામાં આવશે નહીં.

બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુકે, 50 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓવર વાળા કારોબારી સંસ્થાઓએ પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળી ચૂકવણી માટે ડિજીટલ મોડ રજૂ કરવું જોઈએ. અને ટ્રાન્ઝેક્શન પર આવતા ખર્ચને આરબીઆઈ તથા બેંકોએ ચૂકવવો જોઈએ.