નવી દિલ્હીઃ કોરોના મહામારીની અસર સેન્ટ્રલ બેંક પર પણ જોવા મળી છે. સેન્ટ્રલ બેંકે એક દાયકા બાદ સોનું વેચવા કાઢ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 12 ટન સોનાનું (આશરે છ હજાર કરોડ રૂપિયા) વેચાણ કર્યું છે. એક દાયકા બાદ રિઝર્વ બેંકે સોનાનું વેચાણ કર્યુ હોય તેવી ઘટના બની છે. 2019ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આરબીઆઈએ 141.9 ટન સોનું ખરીદ્યું હતું. 2020ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 12 ટન સોનાનું વેચાણ કર્યું છે.


ભારતની સેન્ટ્રલ બેંકની સાથે સાથે અનેક દેશોની સેન્ટ્રલ બેંકો પણ તેમના સ્ટોકમાંથી સોનાનું વેચાણ કરી રહી છે. ઉઝબેકિસ્તાન અને ટર્કી જેવા દેશોની મધ્યસ્થ બેંકે આ કામ ખૂબ મોટા પાયે કર્યુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, રશિયાની સેન્ટ્રલ બેંકે પણ 13 વર્ષ બાદ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નેટ સેલ કર્યુ છે.

તુર્કીની સેન્ટ્રલ બેંકે 22.3 ટન સોનું અને ઉઝબેકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 34.9 ટન સોનાનું વેચાણ કર્યુ છે. કોરોના મહામારી વચ્ચે ઓગસ્ટ મહિનામાં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ 2075 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો હતો. જોકે, બાદમાં તેમાં ઘટાડો થયો છે અને હાલ 1900 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે.



વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ રિપોર્ટ પ્રમાણે, સોનાની બુલિયન માર્કેટમાં ડિમાન્ડમાં આ ત્રિમાસિકમાં વાર્ષિક આધારે 19 ટકાનો ઘટાડો થયો છે. જે 2009 બાદનું ન્યૂનતમ સ્તર છે. ભારતમાં જ્વેલરી ડિમાન્ડમાં 50 ટકા સુધી ઘટાડો થયો છે. તમામ દેશોની સેન્ટ્રલ બેંકે 2018, 2019માં સોનાની રેકોર્ડ ખરીદી કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે હાલ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 2021માં ફરીથી વધારો થઈ શકે છે.



વાર્ષિક ત્રિમાસિક ગાળામાં પણ સોનાની માંગમાં 19 ટકાનો ઘટાડો થયો છે. જે 2009ના ત્રીજા ત્રિમાસિક પછી સૌથી ઓછી છે. ભારતમાં જ્વેલરી ડિમાન્ડ બીજા ત્રિમાસિકના નીચલા સ્તરથી સાધારણ રિકવર થઈ હતી પરંતુ તે 2019 ના સ્તરથી ઓછી રહી છે. ભારતીય ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજીનો સામનો કરવો પડ્યો હતો, લોકડાઉન દરમિયાન લોકોએ ખાસ જરૂર હોય તો જ સોનું ખરીદ્યું હતું પરંતુ પિતૃ પક્ષ અને અધિક માસના અશુભ સમયગાળામાં ખરીદદારી ન નીકળતાં માંગ ઓછી રહી હતી.

ભારતમાં હાલ સોનાના 10 ગ્રામનો ભાવ 50 હજાર રૂપિયા આસપાસ છે. જેના પરિણામે લોકો જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા છે. ભાવના સ્તરને લીધે વજનમાં ઓછા અને પ્લેઇન ગોલ્ડ પિસ તરફ લોકો વળી રહ્યા હોવાનું ડબલ્યુજીસીએ જણાવ્યું હતું.