નવી દિલ્હી: દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકીએ 60 હજાર કરતા વધારે કાર બજારમાંથી પરત મંગાવી છે. મારૂતિ તરફથી આપેલી જાણકારી મુજબ, સેફ્ટીને જોતા કંપનીએ Ciaz, Ertiga અને XL6 કારને પરત મંગાવી છે.


મારૂતિ મુજબ કંપની મોટર જનરેટર યૂનિટમાં ખરાબીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મારૂતિ હવે આ કાર્સનાં મોડલની તપાસ કરશે. તેના માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહી. કંપનીએ 1 જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર 2019ની વચ્ચે બનેલી કારને પરત મંગાવી છે.

કારને વૈશ્વિક સ્તરે રિકોલ કરવાની શરૂઆત 6 ડિસેમ્બર 2019થી શરૂ થઈ રહી છે. આ અહેવાલ વચ્ચે મારૂતિનાં શેરમાં લગભગ 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે કારોબારનાં છેલ્લાં કલાકોમાં મારૂતિનાં શેરનાં ભાવ 1.79 ટકાના ઘટાડા સાથે 6,880 રૂપિયાના ભાવે આવી ગયો હતો.

મારૂતિ સુઝુકીએ જાન્યુઆરી 2020થી પોતાની કારોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યુ હતુ કે, પડતર કિંમતમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરાયો છે. જોકે, કંપની કિંમતોમાં કેટલો વધારો કર્યો છે તેનો કોઈ ખુલાસો નથી કર્યો.