નવી દિલ્હીઃ સરકાર ટૂંકમાં જ તમામ કારમાં એરબેગ અને ઓવરસ્પીડ એલાર્મ પ્રણાલી લગાવવાનું ફરજિયાત કરવા જઈ રહી છે. તેની સાથે જ રસ્તા પર સીસીટીવી લગાવવામાં આવશે જેથી નિયમ તોડનારાઓ પર અંકુશ લગાવી શકાય.

સૂત્રોના જણાવ્યાનુસાર, અમે ઓવરસ્પીડિંગ પર નિયંત્રણ લગાવવા તથા દુર્ઘટનાઓ પર નિયંત્રણ લગાવવા માટે વાહનોમાં ઓડિયો એલર્ટ ફરજિયાત કરવા જઈ રહ્યા છીએ. પ્રસ્તાવિત વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે ઝડપ પકડે છે તો ચાલકને એલર્ટ કરવા માટે બીપ જેવો અવાજ આવશે. અને જો સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકથી ઉપર જાય તો સતત વિશેષ બીપ અવાજ કરતું રહેશે જેથી વાહન ચાલક અને અન્ય પ્રવાસી સાવચેત થઈ જાય.

સૂત્રો અનુસાર રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ અંગે મંજૂરી આપી દીધી છે. હવે ફાઈલ કાયદા મંત્રાલયની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ અમે આ પખવાડીયામાં તે અંગે નોટિફિકેશન બહાર પાડીશું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વર્ષે પાંચ લાખ રોડ અકસ્માત થાય છે જેમાં અંદાજે 1.5 લાખ જેટલા લોકોના મૃત્યું થાય છે જ્યારે ત્રણલાખ લોકો ઘાયલ અથવા વિકલાંગ થઈ જાય છે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતિન ગડકરીએ આ પહેલા કહ્યું હતું કે, નિયમ તોડનાર ચાલકને કાબુ કરવા માટે નેશનલ હાઈવે પર કેમેરા લગાવવામાં આવશે.