Digital Payment in Offline Mode: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે MPC એટલે કે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે. નિર્ણયોની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ સમગ્ર દેશમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


ઇન્ટરનેટ કનેક્શન સમસ્યાઓના કિસ્સામાં પેમેન્ટ કરવામાં મદદ કરશે


RBI એ જાહેરાત કરી હતી કે ઓફલાઇન પેમેન્ટ સિસ્ટમ દેશભરમાં ઉપલબ્ધ કરાશે. જાહેરાત મુજબ, જે ગ્રાહકો ઇન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરે છે તેઓ યુપીઆઇ, આઇએમપીએસ, આરટીજીએસ વગેરે જેવા ઓનલાઇન મોડનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં અસમર્થ છે. તેઓ હવે ચૂકવણી કરવા માટે ઓફલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.


નિવેદન અનુસાર, વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર 6 ઓગસ્ટ 2020 ના નિવેદનમાં એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં નવીન ટેકનોલોજીના પાયલોટ પરીક્ષણો કરવાના હતા, જેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય અથવા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ રિટેલ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આ યોજના અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 દરમિયાન ત્રણ પાયલટનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આમાં જાણવા મળ્યું કે આવા ઉકેલો ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રજૂ કરી શકાય છે. પાયલોટમાંથી મેળવેલ અનુભવ અને ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં લેતા, તેણે દેશભરમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ કરવા માટે એક માળખું રજૂ કરવાની દરખાસ્ત કરી છે.


પાયલોટ યોજનામાં કુલ મર્યાદા 2,000 રૂપિયા હતી


ઓફલાઇન મોડમાં નાના મૂલ્યના છૂટક વ્યવહારો માટે પાયલોટ સ્કીમ કાર્ડ અને મોબાઇલ વોલેટનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી.


પાયલોટ સ્કીમની માર્ગદર્શિકા મુજબ, ચુકવણીના વ્યવહારો માટે ઉપલી મર્યાદા 200 રૂપિયા હતી અને ઓફલાઇન વ્યવહારોની કુલ મર્યાદા કોઈપણ સમયે 2,000 રૂપિયા રાખવામાં આવી હતી. આ સિવાય, આવા ચુકવણી વ્યવહારો કોઈપણ વધારાના ઓથેન્ટિકેશન વગર કરવામાં આવ્યા હતા.