નવી દિલ્હીઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હવે હૈદરાબાદ અને રાયપુર એરપોર્ટ પર પણ એર ઇન્ડિયાને એર ફ્યુઅલ સપ્લાય રોકવાની ધમકી આપી છે. છેલ્લી બાકી રકમના કારણે કંપનીઓએ કહ્યું કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી સપ્લાય રોકી દેવામાં આવશે. એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યુ કે, જો ફ્યુઅલ સપ્લાય રોકવામાં આવશે તો હૈદરાબાદની ઉડાણો રોકવામાં આવશે. હૈદરાબાદથી ખાડી દેશોની અનેક ઉડાણ છે.


નોંધનીય છે કે કંપનીઓએ અગાઉ પણ કોચ્ચિ, મોહાલી, પૂણે, રાંચી, પટણા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર ફ્યુઅલની સપ્લાય 22 ઓગસ્ટના રોજ બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એર ઇન્ડિયા પર 31 માર્ચ સુધી 4600 કરોડ રૂપિયા બાકી હતા. જૂલાઇ 31ના રોજ આ આંકડો 4300 કરોડ હતો કારણ કે અમે દરરોજ 18 કરોડનુ પેમેન્ટ કરી રહ્યા હતા.
એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે દરરોજની ઉડાણ માટે તે ડેઇલી બેસિસ પર 18 કરોડની ચૂકવણી કરી રહી હતી પરંતુ સરકારની મદદ વિના બાકી રકમ ભરવી સંભવ નથી. એર ઇન્ડિયાએ સરકાર પાસેથી 2500 કરોડ રૂપિયાની મદદ માંગી હતી. એર ઇન્ડિયાના એક જાણકારે કહ્યું કે, જો એર ઇન્ડિયાને સરકાર તરફથી આ મદદ નહી મળે તો એરલાઇન લાંબા સમય સુધી સંચાલિત રહી શકશે નહીં.