નવી દિલ્હીઃ ડુંગળીના ધરખમ ઉંચા ભાવ સામે દેશભરમાં દેકારો છે ત્યારે મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો આંબી ગયો છે. જો કે, વેપારીઓએ એમ કહ્યું કે શ્રેષ્ઠ કવોલીટીના અમુક ડુંગળીનો જ આ ભાવ છે. બાકી દેશના અન્ય ભાગોમાં ભાવ તેનાથી નીચા છે.


વેપારી સૂત્રોએ એમ કહ્યું છે કે દક્ષિણ સહિતના રાજયોમાંથી ડુંગળીની ભારે ડીમાંડ છે. માલખેચની સ્થિતિને કારણે ભાવો નીચા આવી શકતા નથી. આવતા મહિના સુધી ભાવો ઉંચા જ રહે તેમ છે.

ડુંગળી માટે મહારાષ્ટ્રના નાસિક ખાતેનુ લાસલગાંવ યાર્ડ મુખ્ય મથક ગણાય છે. જયાં નવી ડુંગળીનો ભાવ 100 રૂપિયા છે. કમોસમી વરસાદ- લાંબા ચોમાસાને કારણે ડુંગળીની ખેંચ છે. ડિસેમ્બર અંત સુધી આ હાલત રહે તેમ છે. મધ્ય જાન્યુઆરીથી સપ્લાય વધી શકે છે.

ગોંડલ યાર્ડમાં ગત અઠવાડિયા ડુગળીની સવા લાખ બોરીની આવક થઈ હતી. અગાઉ પણ યાર્ડમાં 1.5 લાખ બોરી ડુંગળીઓ આવી હતી. ડુંગળીના ભાવ વધારાના કારણે આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ગોંડલ ડુંગળી ખરીદવા માટે આવ્યા હતા.

માર્કેટિંગ યાર્ડમાં આવેલો ડુંગળીનો મબલખ લોટ આગામી એક મહિનાની અંદર બજારમાં પહોંચે તેવી શક્યતા છે. ડુંગળીનો મોટો જથ્થો વિદેશથી પણ આયાત કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું રાજ્યોની માંગ મુજબ ડુંગળી આપવામાં આવશે.