નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવથી આમ આદમીના ખિસ્સા પર માર પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ઈંધણના ભાવમાં વધારો નથી થયો પરંતુ આસમાનને આંબી ચુકેલી કિંમતોની અસર હવે જોવા લાગી છે. આ વચ્ચે નાણા મંત્રાલય પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર વિચાર કરી રહી છે. હાલ પેટ્રોલ-ડીઝલ પર 60 ટકા ટેક્સ લાગે છે, જેના કારણે ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે.


છેલ્લા એક વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ બમણો કરી દીધો છે. કોરોનાકાળમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે પહોંચી ગયો હતો પરંતુ તેનો ફાયદો આમ આદમી સુધી પહોંચ્યો નહોતો.

સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, હવે નાણા મંત્રાલય તેલની કિંમતો પર ટેક્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે. આ માટે નાણા મંત્રાલયે કેટલાક રાજ્યો, ઓઈલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા કરી છે. સૂત્રો મુજબ નાણા મંત્રાલય સરકારની આવક પર પણ અસર ન પડે અને આમ આદમીને રાહત આપી શકાય તેવો રસ્તો નીકળે તેમ ઈચ્છે છે.

સૂત્રોના કહેવા મુજબ પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખવા પર વિચાર કરવામાં આવી શકે છે. આ અંગે માર્ચના બીજા સપ્તાહમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ટેક્સ ઘટાડતાં પહેલા સરકાર ભાવ સ્થિર કરવા ઈચ્છે છે, જેથી ભવિષ્યમાં ક્રૂડ ઓઇલની કિંમત વધવા પર ટેક્સ સ્ટ્રક્ચરમાં બદલાવ ન કરવો પડે.  તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ઈંધણ પર ટેક્સ ક્યારે ઘટશે તે હું ન કહી શકું. રાજ્ય અને સરકારે ટેક્સ ઘટાડવા માટે પરસ્પર વાત કરવી પડશે.

Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ,  આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન

રાશિફળ 2 માર્ચ: આજે છે સંકટ ચતુર્થી, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ