મુંબઈ: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. અંબાણી પરિવારના દરેક સેલિબ્રેશનમાં સેલિબ્રિટીઝનો જમાવડો થતો હોય છે. ત્યારે હવે ‘ગણપતિ બાપ્પા’ને ઘરે લાવવાના હોય ત્યારે અંબાણી પરિવાર કેમ પાછો પડે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે બાપ્પાની પધરામણી કરાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એક ખાનગી વેબસાઈટના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર આમંત્રણ પત્રિકાની તસવીર શેર કરી છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી ઉપરાંત આમંત્રક તરીકે ઈશા-આનંદ, આકાશ-શ્લોકા અને અનંત અંબાણીનું નામ જોવા મળેી રહ્યું છે.

આ કાર્ડમાં આપેલી માહિતી પ્રમાણે, 2 સપ્ટેમ્બરે ગણેશોત્સવ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે આરતી અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડ્રેસ કોડમાં ભારતીય પરિધાન પહેરવાના છે. સોશિયલ મીડિયા પર કાર્ડની તસવીરો વાયરલ થઈ છે.

કાર્ડ ખોલતાં જ ગણેશજીની તસવીર જોવા મળી રહી છે. કાર્ડ લાલ અને પીળા રંગનું છે. અંબાણી પરિવાર માટે આ ગણેશોત્સવ ખાસ છે. કારણ કે ઈશા-આનંદ અને શ્લોકા-આકાશના લગ્ન બાદ પરિવારનો આ પહેલો મોટો પ્રસંગ છે.

અંબાણી પરિવારની વહુ તરીકે શ્લોકાનો આ પહેલો ગણેશોત્સવ છે. અંબાણી પરિવારના ફંક્શનમાં જુદા-જુદા ક્ષેત્રના સેલિબ્રિટીઝ સામેલ થાય છે ત્યારે ગણેશોત્સવ પ્રસંગે પણ હસ્તીઓ જોવા મળે તો નવાઈ નહીં.