મુંબઈ: યસ બેન્કને સંકટથી બહાર કાઢવા માટે રિકન્સ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, યસ બેન્કનો ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં વિલય કરવામાં આવશે નહીં.


દેશની જાણીતી ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે, યસ બેન્કને લઈને પુનર્ગઠન યોજનાની જાહેરાત આવનારા સપ્તાહે થઈ શકે છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, યસ બેન્કનો એસબીઆઈમાં વિલયનો કોઈ સવાલ જ ઉઠતો નથી. આ કલ્પનાથી ઉપર છે. તેઓએ કહ્યું હતું કે, યસ બેન્કને ફરીથી બેઠી કરવા માટે કેપિટલ મેળવવામાં મદદ કરવામાં આવશે.

તેઓએ કહ્યું હતું કે, એસબીઆઈ તરફથી યસ બેન્કને મદદ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઘણાં રોકાણકારો પણ સામે આવી શકે છે. નોંધનીય છે કે, યસ બેન્કના બોર્ડને આરબીઆઈએ ભંગ કરી દીધો છે અને એસબીઆઈના પૂર્વ અધિકારી પ્રશાંત કુમારની સંચાલક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આરબીઆઈએ 30 દિવસો માટે યસ બેન્ક બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે અને એક સંચાલક નિમણૂંક કરી છે. ખાતાધારકોને એક મહીનામાં માત્ર 50,000 રૂપિયા કાઢી શકશે. જ્યારે એસબીઆઇ સીએફઓ પ્રશાંત કુમારની યસ બેન્કના સંચાલક તરીકે નિમણૂંક કરાઈ હતી. જેમની દેશભરમાં 1,000થી વધારે શાખાઓ અને 1,800થી વધારે એટીએમ છે.