નવી દિલ્હી: આરબીઆઈએ કેન્દ્ર સરકારને ડિવિડન્ડ અને સરપ્લસ ફંડની મદદથી 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે, આરબીઆઈ નિદેશક મંડળ અનુસાર 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં 2018-19 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ રૂપે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સરકારને મળેલા આ ફંડથી દેશના નાગરિકોને શું ફાયદો થશે? તેની પર તમામની નજર ટકેલી છે.

આરબીઆઈ દ્વારા મળેલા સરપ્લસ ફંડને સરકાર બેંકોમાં નાખવામાં આવશે. સરકાર પહેલાં જ સરકારી બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ફંડ આપવાની જાહેરાત કરી ચૂકી છે. બેંકોમાં ફંડ નાખવાથી લિક્વિડિટી વધશે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી બેંકોને રાહત મળશે. સરપ્લસ કેશ હોવાના કારણે બેંક સસ્તી લોન આપે તેવી સંભાવના છે. તેનાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે એટલે કે વપરાશમાં વધારો થાય છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે.

સુત્રો પ્રમાણે, રાહત પેકેજની જાહેરાત અને બજારમાં લિક્વિડિટી વધવાથી શેર બજારમાં વધુ તેજી જોવા મળે તેવી સંભાવના છે. સોમવારે શેર માર્કેટમાં આરબીઆઈ દ્વારા સરકારને સરપ્લસ મળવાની શક્યતાના કારણે જોરદાર તેજી જોવા મળી હતી. માર્કેટમાં 800 પોઈન્ટનો જોકદાર ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં તેજીથી તેમાં રોકાણ કરનારાઓને મોટો ફાયદો મળશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને સારું રિટર્ન મળે તેવી સંભાવના છે. સરકાર આ પૈસાને નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા સેક્ટરને રાહત આપી શકે છે. તેની અસર સ્ટોક માર્કેટમાં જોવા મળશે અને માર્કેટમાં તેજીથી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ફાયદો થશે. તેમને અહીં રિટર્ન વધુ મળવાની શક્યતા વધી જશે.

રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સરકાર સરપ્લસ ફંડનો ઉપયોગ કરી શકે છે. દેશભરમાં આમ્રપાલી, યૂનિટેક અને જેપી જેવા લટકેલા પ્રોજેક્ટને પૂરા કરવા માટે સરકાર નાણાંકીય મદદ આપી શકે છે. તેનાથી લોકોને તેમનું ઘરનું ઘર મળી જશે જેને મેળવવાની આશા વર્ષોથી છે.