RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ યથાવત રાખ્યો હતો. દેશમાં વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેન્કે તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. આ સતત 9મી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી 2023માં બદલાયો હતો. છેલ્લા 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેન્કે રેપો રેટને આટલા લાંબા સમય સુધી યથાવત રાખ્યો છે.






મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 થી 8 ઓગસ્ટ વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સેન્ટ્રલ બેન્કે એમ પણ કહ્યું છે કે તે મોનિટરી પોલિસીને લઈને પોતાનું વલણ નરમ રાખશે.






 


જે લોકો લોન સસ્તી થવાની અને EMI બોજ ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. રિઝર્વ બેન્કે રેકોર્ડ 9મી બેઠકમાં પણ રેપો રેટમાં ઘટાડો કર્યો નથી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે આરબીઆઇની મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.


આરબીઆઈ ગવર્નરે બેઠક બાદ આપ્યા અપડેટ


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ફુગાવો હજુ પણ કેન્દ્રીય બેન્ક માટે સૌથી મોટી ચિંતા છે. આ કારણે જ મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવા માટે વધુ રાહ જોવાની તરફેણમાં છે. RBIની ઓગસ્ટ MPC બેઠક 6 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી અને આજે પૂરી થઈ હતી. જે બાદ આરબીઆઈ ગવર્નરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે MPCના 6માંથી 4 સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના પક્ષમાં હતા. MPCની આગામી બેઠક ઓક્ટોબર મહિનામાં યોજાશે.


છેલ્લે 18 મહિના પહેલા બદલાયા હતા


RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી MPCની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.






નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યા પછી રિઝર્વ બેન્કની આ પ્રથમ બેઠક હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા મહિને 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની શક્તિશાળી નાણાકીય નીતિ સમિતિની આ ત્રીજી બેઠક હતી. માત્ર 6 સભ્યો ધરાવતી મોનિટરી પોલિસી કમિટી પોલિસી વ્યાજ દર એટલે કે રેપો રેટ અંગે નિર્ણય લે છે. MPCની આ સતત 9મી બેઠક હતી, જેમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


રેપો રેટ એ વ્યાજ દર છે જેના આધારે બેન્કો RBI પાસેથી નાણાં મેળવે છે. મતલબ કે રેપો રેટ બેન્કોના ભંડોળના ખર્ચ સાથે સીધો જોડાયેલો છે. જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે બેન્કો માટે ખર્ચ ઘટે છે અને જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે તેમના માટે ભંડોળ મોંઘું થઈ જાય છે. બેન્કો દ્વારા સામાન્ય લોકોને આપવામાં આવતી લોન જેમ કે હોમ લોન, પર્સનલ લોન, વાહન લોન વગેરે પરના વ્યાજ દરો રેપો રેટ અનુસાર નક્કી કરવામાં આવે છે. ઓછા રેપો રેટના કારણે આ બધી લોન સસ્તી થઈ જાય છે. હોમ લોનના કિસ્સામાં ફ્લોટિંગ વ્યાજ દરને કારણે રેપો રેટમાં ઘટાડો જૂની લોનને પણ અસર કરે છે અને EMI બોજ ઓછો થાય છે. જો કે હવે લોકોએ તેના માટે વધુ રાહ જોવી પડશે.


રિઝર્વ બેન્ક દેશમાં છૂટક ફુગાવાનો દર 4 ટકાથી નીચે લાવવા માંગે છે. રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં 5 ટકાથી નીચે આવી ગયો હતો અને 4.75 ટકા પર એક વર્ષમાં સૌથી નીચો હતો. જો કે, ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં વધારાને કારણે ફુગાવાનો દર જૂનમાં ફરી એકવાર 5 ટકાને વટાવી ગયો અને 5.08 ટકાની 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો. જુલાઈના છૂટક ફુગાવાના આંકડા આવતા સપ્તાહે જાહેર થવા જઈ રહ્યા છે.