નવી દિલ્હીઃ ટૂંકમાં જ 100 રૂપિયાની નવી નોટ જારી થવાની છે. આ નોટ પહેલાની તુલનામાં વધારે ટકાઉ હશે. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જાણકારી આપી છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર 100 રૂપિયાના વાર્નિશ નોટને પહેલા ટ્રાયલ ધોરણે જારી કરવામાં આવશે. ખાસ લેયરની નોટની ઉંમર લાંબી હશે અને ઝડપથી ફાટશે નહીં. જોકે આરબીઆઈના આ નિર્ણયથી નોટો પરનો ખર્ચ વધી જશે.


વાર્નિશ નોટ પર એક વિશેષ પડ ચડાવેલી હોય છે. આ લેયર નોટને ઝડપથી ફાટવા દેતી નથી. આ સિવાય નોટો સરળતાથી ગંદી થતી નથી. નોંધનીય છે કે, દુનિયાના ઘણાં દેશોમાં આવી વાર્નિશ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ આવી નોટનો ઉપયોગ કરીને ગંદી થવા અથવા ફાટી  જવાની સમસ્યાને દૂર કરી શકાશે.

આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવી 500 રૂપિયાની નોટોની નકલી નોટમાં સતત વધારો થઈ રહ્યોં છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં પાછલા વર્ષની તુલનામાં 121 ટકા નકલી નોટમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રૂ.2000 ની નકલી નોટોમાં 21.9 ટકાનો વધારો થયો છે.

આ સિવાય આરબીઆઇએ અનુક્રમે 10, 20 અને 50 રૂપિયાની નોટોની નકલમાં 20.2 ટકા, 87.2 ટકા અને 57.3 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે 100 રૂપિયાની નોટોમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે. આરબીઆઈએ કહ્યું કે 1 જુલાઈ, 2018 થી 30 જૂન, 2019 ની વચ્ચે નોટો છાપવામાં કુલ 48.11 અબજ રૂપિયા ખર્ચ થયા હતા, જ્યારે ગયા વર્ષે 49.12 અબજ રૂપિયા ખર્ચ થયા છે.