નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે. બેંક દ્વારા ગ્રાહકોને બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા પર લેવામાં આવતો ચાર્જ ખતમ કરી દીધો છે. બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા પર એસબીઆઈના ગ્રાહકોએ હવે કોઈ ચાર્જ આપવો નહીં પડે.


બેંક તરફથી જણાવવામાં આવ્યા મુજબ, લાંબા સમયથી ગ્રાહકો દ્વારા કરવામાં આવતી માંગને સ્વીકારી લેવામાં આવી છે. તેથી હવે બેંકમાં રૂપિયા રાખતા ખાતાધારકો કોઈપણ જાતની ચિંતા વગર ગમે તેટલું બેલેન્સ ખાતામાં રાખી શકે છે અને મિનિમમ બેલેન્સ ઘટવા પર ગ્રહાકોએ ચાર્જ નહીં આપવો પડે.


એસબીઆઈના ગ્રાહકોએ વિવિધ વિસ્તારોના હિસાબે ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા પર 3000 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડતો હતો. હવે બેંક દ્વારા આ ચાર્જ ખતમ કરવામાં આવતા એસબીઆઈના ગ્રાહકોને મોટી રાહત મળશે. બેંકના કહેવા મુજબ આ પગલાથી ગ્રાહકોને રાહત મળવાની સાથે બેંક પર તેમનો ભરોસો પણ વધશે.


જોકે, મિનિમમ બેલેન્સનો ચાર્જ ખતમ કરવામાં આવ્યા બાદ બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈએ તમામ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર ઘટાડીને 3 ટકા કરી દીધો છે. અત્યાર સુધી ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી ઓછી રકમ પર વાર્ષિક 3.25 ટકા વ્યાજ મળતું હતું. જ્યારે તેનાથી વધુ રકમ પર 3 ટકા વ્યાજ મળતું હતું.

આ ઉપરાંત એસબીઆઈએ SMS પર લાગતો ચાર્જ પણ હટાવી દીધો છે. એકાઉન્ટમાંથી રૂપિયા કપાય કે જમા થાય તો એસબીઆઈ ગ્રાહકોને એસએમએસથી એલર્ટ કરતી હતી અને આ માટે ત્રિમાસિકના આધારે ચાર્જ લેતી હતી. પરંતુ હવે ગ્રાહકોએ આ ચાર્જ નહીં આપવો પડે.

FDના વ્યાજમાં કર્યો ઘટાડો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાં એક મહિનામાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો 10 ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા દરો અલગ-અલગ સમયથી એફડી પ્રમાણે અલગ-અલગ છે. 7થી 45 દિવસ માટે 0.5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા આ ગાળા પર 4.5 ટકા વ્યાજ મળતું હતું, જે હવે ઘટીને 4 ટકા થઈ ગયું છે.