અમદાવાદ: એર ઈન્ડિયાએ તેની એરહોસ્ટેસ અને ક્રૂ મેમ્બર્સ ફિટ અને સ્લિમ રાખવા માટે લો-કેલેરી અને લો-ફેટ ભોજનની વ્યવસ્થા કરી રહી છે. આ લો ફેટ ભોજન ક્રૂ મેમ્બર્સ તેમજ પાયલટને આપવામાં આવશે.

એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, એરલાઈન્સ તેના કર્મચારીઓની ફિટનેસને ધ્યાનમાં રાખી લો ફેટ કેલેરી ભોજન લોન્ચ કરશે. કેબિન ક્રૂના સભ્યોના આરોગ્યને ધ્યાનમાં રાખી એરલાઈન્સના અધિકારીઓએ ફ્લાઈટમાં ફરજ દરમિયાન ફૂડ મેન્યૂમાં સુધારાનો નિર્ણય કર્યો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ક્રૂ મેમ્બર્સને આપવામાં આવનારા ફૂડ (ભોજન)માં જંકફૂડને બાકાત રાખવામાં આવ્યું છે અને ભારતીય ભોજનને મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં મુસાફરી દરમિયાન ક્રૂ મેમ્બર્સને હળવુ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે.

આ સુધારેલા મેન્યૂનો અમલ એર લાઈન્સ દ્વારા પાયલટ પ્રોજેક્ટ હેઠળ દિલ્હી મુંબઈ વચ્ચે ઓપરેટ થતી ફ્લાઈટથી શરૂ કરવામાં આવ્યો છે. ક્રૂ મેમ્બર્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યાં બાદ અન્ય ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પણ તબક્કાવાર તેનો અમલ કરવામાં આવશે.

એર ઈન્ડિયા ફ્લાઈટમાં હવેથી સૂપ, ઉપમા, ઈડલી સંભાર, ચિલ્લા, આમલેટ, કબાબ, બોઈલ્ડ રાઈસ, ટીંડા મસાલા, ચિકન ટિક્કા, તુવેરની દાળ,
મસૂરની દાળ અને રોટી આપવામાં આવશે.