નવી દિલ્હીઃ છેલ્લા 12 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલના બાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જેના લીધે સામાન્ય માણસ થોડી રાહત અનુભવી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ અનેક વિસ્તારમાં 100 રૂપિયાને પાર કરી ગયા છે તેમ છતાં ભાવમાં ઘટાડીને લઈને કોઈ નક્ક કામ થયું નથી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસથી લઈને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સુધીના નેતાઓ પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ચિંતિત છે તેમ છતાં કોઈ ખાસ પરિણામ સામે આવ્યું નથી. 


નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચન આપ્યું છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે અને આ મામલે જીએસીટ કાઉન્સિલમાં ચર્ચા થવી જોઈએ. જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્યના પ્રતિનિધિઓ હાજર હોય છે. બીજી બાજુ એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હી અને મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા માટે તૈયાર થયા છે. નોંધનીય છે કે, અત્યાર સુધી કોઈપણ રાજ્ય સરકાર તેને જીએસટીમાં લાવવા માટે તૈયાર હતું નહીં કારણ કે તેનાથી રાજ્યને ભારે નુકાસન જાય તેમ છે. ત્યારે આ બે રાજ્ય આગળ આવીને તેને જીએસટીમાં સમાવવાની વાત કરી રહ્યા છે. 


દિલ્હીના ગૃહપ્રધાન સત્યેન્દ્ર જૈને વિધાનસભામાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેટ્રેલ અને ડીઝલને જીએસટીમાં સમાવવાની માગ કરી છે. ખરેખર તો દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીરસિંહ બિધૂડીએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તો તેની કિંમતમાં 25 રૂપિયા જેટલો ઘટાડો આવી શકે છે. આ મામલે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તમે એક પ્રતિનિધિ મંડળ સાથે કેન્દ્ર સરકારને મળો. અમારા બધા ધારાસભ્યો તમારી સાથે ચાલશે. આમ કરવાથી દિલ્હી સહિત સમગ્ર દેશને લાભ થશે. આ પહેલા બિધૂડીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકાર ઉંચો વેટ લે છે જેના કારણે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા છે. 


બીજી બાજુ દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવાની વાત કહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં સમાવવામાં આવશે તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને ફાયદો થશે. તેમણે ખાતરી આપી છે કે, જો કેન્દ્ર સરકાર આમ કરશે તો મહારાષ્ટ્ર સરકાર તેનું સમર્થન કરશે. 


જોકે જાહેરમાં નિવેદન આપનાર રાજ્ય સરકાર તરફથી લેખીતમાં કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, સરકાર પાસે હજુ સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી.