નવી દિલ્હીઃ સંકટગ્રસ્ત યસ બેંકનું અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર ભારે લેણું છે. રિલાયન્સ ગ્રુપે બુધવારે કહ્યું કે, તેને પર યસ બેંકનું જે પણ દેવું છે, તે પૂરી રીતે સુરક્ષિત છે અને કંપની તેની ચૂકવણી કરશે. રિલાયન્સ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે, તે પોતાની સંપત્તિઓ વેચીને યસ બેંકનું તમામ દેવું ચૂકવવા માટે પ્રતિબદ્ધ છીએ. ગ્રુપે કહ્યું કે, ‘રિલાયન્સ ગ્રુપ પર યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર, તેની પત્ની અને દીકરીઓ અથવા રાણા કૂપર કે તેના પરિવાર દ્વારા નિયંત્રિત કોઈપણ કંપનીનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ દેવું નથી.’


ભારતીય રિઝર્વ બેંક દ્વારા યસ બેંકના બોર્ડને ભંગ કરવા તથા તેના પર નિયંત્રણ લગાવવાના પગલા લીધા બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ તથા સુભાષ ચંદ્રાના એસ્સલ ગ્રુપનું બેંક પર મોટું દેવું છે.



યસ બેંકના 10 મોટા બિઝનેસ ગ્રુપ સાથે જોડાયેલી અંદાજીત 44 કંપનીઓ પાસે કથિત રીતે 34,000 કરોડ રૂપિયાની રકમ ફસાયેલી છે. અનિલ અંબાણી ગ્રુપની નવ કંપનીએ 12,800 કરોડ રૂપિયા તથા એસ્સેલ ગ્રુપના 8,400 કરોડ રૂપિયાનું બેંકનું લેણું છે.

અન્ય કંપનીઓમાં DHFL ગ્રુપ, જેર એરવેઝ, કોક્સ એન્ડ કિંગ્સ તથા ભારત ઈન્ફ્રાએ પણ યસ બેંક પાસેથી મોટી લોન લઈ રાખી છે.