ગાંધીનગરના સ્મશાન ગૃહ ખાતે છેલ્લા 15 દિવસમાં જ કોરોનાથી મૃત્યુ પામનાર 107 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. આ ચોંકાવનારી કબૂલાત કરી છે ગાંધીનગર સ્મશાનગૃહના જ માનદ સંચાલક જીલુભા ધાંધલે. જો કે, જે મૃતકોની અંતિમવિધિ કરાઈ તે ગાંધીનગર ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના પણ હતા. એટલું જ નહીં જીલુભા ધાંધલે એ પણ કહ્યું કે સરકારને વધુ શબવાહિની આપવાની રજૂઆત કરવામાં આવી છે.


નોંધનીય છે કે, ગઈકાલે પાટનગર ગાંધીનગરમાં મોતનો મલાજો જળવાયો ન હતો. ગાંધીનગર સ્મશાનગૃહ પર એક શબવાહિનીમાં એક સાથે 4 મૃતદેહ લવાયા હતા. શબવાહિનીમાં માલસામાનની માફક રખાયેલા ચાર મૃતદેહ મામલે વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તો મૃતકોના સ્વજનોએ પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ મામલે મેયરે તપાસના આદેશ આપી જવાબદારો સામે કાર્રવાઈ કરવાની ખાતરી આપી હીત. અહીં વાત માત્ર મોતના મલાજાની જ નથી પણ કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવાતા હોવાનો પણ પ્રશ્ન ઉઠ્યો છે. સરકારી ચોપડે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોરોનાથી ફક્ત એક જ મૃત્યુ દર્શાવાયું છે. મોટી વાત તો એ કે ખુદ મેયર સ્વીકારી રહ્યા છે કે દિવાળી બાદ ગાંધીનગરમાં કોરોનાથી દરરોજ 10-12 લોકોના મોત થઈ રહ્યા છે.