ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગર ડી-માર્ટનાં 4 કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ડી-માર્ટમાં કામ કરતાં 4 લોકો પોઝિટિવ બનતા આરોગ્ય વિભાગે પગલાં લીધાં છે. આરોગ્ય વિભાગ દ્રારા ગાંધીનગરમાં આવેલ ડી-માર્ટ સીલ કરવામાં આવ્યું છે. ડી-માર્ટ નાં 4 કર્મી ઉપરાંત આજે ગાંધીનગર શહેરમાં કુલ 7 લોકો કોરોનાં પોઝિટિવ સામે આવ્યાં છે.


નોંધનીય છે કે, ગાંધીનગરમાં ગઈ કાલે 21 કેસ નોંધાયા હતા. જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલ સુધીમાં 172 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 15 લોકોના મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 173 એક્ટિવ કેસ હતા. જેમાં વધુ સાત ઉમેરાયા છે.



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.