Gandhinagar: ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી થયેલા ખેતીના પાકના નુકશાન અંગે સરકાર સહાય જાહેર કરશે. ખેડૂતોને નુકસાનના બદલામાં વધુ સહાય મળે તે રીતે સરકારે પેકેજ બનાવ્યું છે.


રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે માવઠાનું સંકટ


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાનું સંકટ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા  છે. 48 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે. 7મી મેથી માવઠાનું સંકટ દૂર થવાની શક્યતાઓ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેના કારણે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


ચોમાસાની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદ 29.8mm વરસાદ નોંધાયો છે.. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ફેબ્રુઆરી મહિના માંથી જ શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે આ સિઝનમાં 0.9 એમએમ વરસાદ હોવો જોઈએ તેના કરતાં વધુ વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92.9 એમએમ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 39.9mm વરસાદ નોંધાયો છે, અમદાવાદમાં16.7mm નોંધાયો છે, જ્યારે અમરેલીમાં 62mm વરસાદ પડ્યો છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બાગાયતી પાકો અને શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જામ્યું છે.


દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુરુવાર (4 મે)થી હળવા ઝાકળ અને ધુમ્મસની શરૂઆત થઈ છે. દેશના મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ સિવાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ એપ્રિલની શરૂઆતથી જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (4 મે) રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. રાજ્યમાં 4 મે, ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ કેટલીક જગ્યાએ હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. રાજ્યના ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 3200 મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા અને કરા પણ પડી શકે છે. વિભાગમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને જોતા કેદારનાથ યાત્રા 5 મે સુધી રોકી દેવામાં આવી હતી.