ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે વપરાતાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનનાં કાળા બજાર થતાં હોવાના કૌભાંડનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સૂત્રધાર તરીકે ઉમા કેજરીવાલ અને ઘનશ્યામ વ્યાસનાં નામ બહાર આવ્યાં છે. ત્યારે ઘનશ્યામ વ્યાસે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને આ કૌભાંડમાં પોતાનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે બે વ્યક્તિને આ ઇંજેક્શન અપાવ્યા હોવાનું કબૂલ્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે, તેઓ જરૂરિયાતમંદ વ્યક્તિને ડાયરેક્ટ ફાર્મા કંપનીના મિતુલભાઈનો નંબર આપી દેતા હતા અને તેમના થકી તેમને ઇંજેક્શન મળી જતાં હતાં. જોકે, કેટલા રૂપિયા લેવાતા હતા તે અંગે પોતાને કંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી. કોશિયાએ ઘનશ્યામ વ્યાસને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઘનશ્યામ વ્યાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ છે. તે સરકારનો કાયમી કર્મચારી નથી. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ઘનશ્યામ વ્યાસ સિવિલ હોસ્પિટલમાંથી બ્લેંક પ્રિક્રિપ્શન પેપર કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના અમિત મંછારામાનીને પહોંચાડવાનું કામ કરતો હતો.

જોકે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રભાકરે ઘનશ્યામ વ્યાસ નામનો કોઈ કર્મચારી સિવિલમાં ન હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘનશ્યામ વ્યાસ સ્ટેટ કર્મચારી છે. સિવિલમાંથી કોઈપણ ઇંજેક્શન ગાયબ નથી. જેટલા ઇંજેક્શન આવે છે એ તમામનો રેકોર્ડ રાખવામાં આવે છે.

સુરતમાં ઇન્જેક્શનના કાળાં બજારનો પર્દાફાશ થયો છે અને સાર્થક ફાર્મા એજન્સીમાંથી 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57હજારમાં ગ્રાહકને અપાયું હતું તેનો ભાંડો ફૂટ્યો છે. ફૂડ & ડ્રગ વિભાગે કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.