Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. ખાનગી કંપની પાસેથી મોંઘી વીજળી ખરીદતા હોવાના આરોપ સાથે કોગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું હતું કે  કરાર કરતા ડબલ રૂપિયા ચૂકવી વીજળી ખરીદી છે.


કનુભાઈ દેસાઈએ શું કહ્યું


 અદાણી પાસેથી વધારે રૂપીયા આપી વીજળી ખરીદવા અંગેના કોંગ્રેસના આક્ષેપનો ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, અદાણીને જે વધારે રૂપિયા ચુકવાયા છે તે પ્રોવીઝનલ છે અને તેનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે.


દેશના સરેરાશ માથાદીઠ યુનિટ સામે ગુજરાતનો વપરાશ બમણો

વર્ષ ૨૦૦૨માં ગુજરાતની વીજળીની જરૂરીયાત ૭૭૪૩ મેગા વોટ હતી, ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં વીજળીની જરૂરિયાત વધીને ૨૪૫૪૪ થઇ હતી. રાજ્યની વીજળીની જરૂરિયાત ૩ ગણી વધી. ગુજરાતમાં શહેરી કરણ ઉદ્યોગોનો વિકાસ ગામડાંમાં ૨૪ કલાકના કારણે માથા દીઠ વપરાશ વધ્યો છે. વર્ષ ૨૦૦૩માં માથા દીઠ વપરાશ ૯૫૩ યુનિટ હતી, ૨૦૧૩માં માથાદીઠ વપરાશ વધીને ૧૮૦૦ યુનિટ અને ૨૦૨૩માં વધીને ૨૪૦૨ યુનિટ થઈ. ભારતના સરેરાશ માથા દીઠ ૧૨૫૫ યુનિટ સામે ગુજરાતનો વપરાશ બમણો છે. વપરાશ વધવાના કારણે વીજ ખરીદી વધારે કરવી પડી છે.

અગાઉ ખેડૂતને વિજ કનેક્શન ખુબ લેટ મળતાં હતા અત્યારે ત્રણથી છ મહિનામાં ખેડૂતોને વીજળી મળે છે. રાજ્યમાં ખેડૂતોની વીજ કાપ માટેની કોઇ ફરિયાદ નથી. રાજ્યમાં સતત વીજ પુરવઠો મળતો હોવાથી ઉદ્યોગોનુ રોકાણ વધ્યું છે. વીજ પ્લાન્ટનો કોલોસો ઇન્ડોનેશિયાથી આવે છે. કાયદામાં ફેરફાર થવાના કારણે વર્ષ ૨૦૨૧માં ૧૨૧ ડોલરે મળતો કોલસો વર્ષ ૨૦૨૨માં ૨૭૬ ડોલર થયો હતો. વર્ષ ૨૦૨૩માં ૨૦૧ ડોલરનો ભાવ થયો સાથે પ્રતિ ડોલર સામે રૂપિયાની કિંમત પણ વધી હતી. ગુજરાત સરકારના અદાણી પાવર, ટાટા પાવર અને એસ્સાર પાવર સાથે પીપીએ કર્યા છે. ૨૦૧૮ સુધી પીપીએ પ્રમાણે કુલ વીજળી આપી સરકારે ૩૦ ટકા વીજળી ખરીદી હતી. કોલ પ્રાઇઝ વધવાથી અને યુનિટ ચાર્જ વધવાથી માત્ર ૧૭ ટકા વીજળી ખરીદી હતી.


ગુજરાતે વીજકાપ કર્યો નથી


૨૦૨૨માં અદાણી પાસેથી માત્ર ૫ ટકા અને ૨૦૨૩માં માત્ર ૬ ટકા વીજળી ખરીદી કરી હતી. રશિયા યુક્રેન યુધ્ધના કારણે ગેસ મોંઘો થયો છે, ગેસ આધારિત વીજ મથક ચલાવી શક્યા નહી. દેશના ઘણા રાજ્યોએ વીજકાપ મુક્યો આપણે ક્યાંય વીજકાપ કર્યો નથી. રાજ્ય સરકારે ૧૫ હજાર મેગા વોટના સોલાર અને વિંડના એમઓયુ કર્યા, જેનાથી આપણને 3 રૂપિયે યુનિટ વીજળી મળશે. કોંગ્રેસના તમામ મીત્રો વીજળીના સંચાલનને વખાણે છે. અમારી પાસે વીજકાપની કોઇ પણ ફરિયાદ ખેડૂત દ્વારા આવી નથી, ટેરીફ પ્રમાણે ખરીદી થાય છે આ ટેરીફ કોંગ્રેસની સરકારમાં નક્કી થયા હતા. અગામી દિવસોમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે. ઝીંરો કાર્બન ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે.