ગાંધીનગરઃ કમોસમી  વરસાદનો ભોગ બનેલા રાજ્યના ખેડૂતો માટે રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરી છે. વરસાદથી જે ખેડૂતોનો  નુકસાન પહોંચ્યું છે તેઓની સહાયમાં વધારો કરવામામાં આવ્યો છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે  જે ખેડૂતોને નુકસાન થયું ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવાયા છે. રાજ્યના 56.36 લાખ ખેડૂતો માટે સરકાર દ્વારા 3795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 81 તાલુકાના 5814 ગામોના 17,10,000 ખેડૂતોને ખાતાદીઠ 4000 સહાય આપવામાં આવશે. જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તેવા 125 તાલુકાના 9416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રુપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચૂકવણી કરવામાં આવશે. અગાઉ સર્વે કરાયેલા નુકસાન ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે.


નીતિન પટેલે કહ્યુ કે, રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદ વરસ્યો છે. વાવણીનો સમય હતો છતાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. દિવાળી પછી પાક લેવાની કાપણીની સીઝનમાં ખેડૂતોનો પાક ખેતરમાં પડ્યો હતો. ખેડૂતોની મદદ માટે પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર કર્યું હતું. બાદમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યું છે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય એવા 23 જિલ્લાના 42 તાલુકાની ઓળખ થઇ છે. તે સિવાય આ તાલુકામાં 1463 ગામના 4,70,000 ખેડૂતોને SDRF ના ધોરણ અનુસાર સહાય આપવામાં આવશે. આ તાલુકાના ખેડૂતોને 4000 ની સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં 251 તાલુકા પૈકી અમદાવાદ સુરત અને જુનાગઢના શહેરી વિસ્તારને બાકાત રાખવામાં આવ્યા છે. બાકીના 248 તાલુકાના 18,369 ગામના અંદાજે 56,36,000 ,ખાતેદારોને સહાય આપવામાં આવી છે. સહાયના પેકેજમાં ભારત સરકાર દ્વારા SDRF દ્વારા 2,154 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના 1641 કરોડ રૂપિયાનો હિસ્સો રહેશે.