ગાંધીનગરઃ આજે રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.


આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોવાનું જણાવ્યું હતું. તેમજ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતું. આ સમયે પત્રકાર દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હોવાનો પ્રશ્ન પૂછતાં મુખ્યમંત્રીએ સામો પ્રશ્ન કર્યો હતો અને કેટલી બેઠકો મેળવી તેમ પૂછ્યું હતું. સામેથી 100 જેટલી બેઠકો મળી હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કેટલામાંથી એવું પૂછ્યું હતું અને આ ખૂબ જ નગણ્ય છે, તેમ જણાવ્યું હતું.