ગાંધીનગરઃ ગુજરાતમાં ગઈ કાલે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હવે નવા મંત્રી મંડળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16મી સપ્ટેમ્બરે નવા મંત્રીઓ શથથ લેશે, તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. 


એટલું જ નહીં, એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ભુપેન્દ્ર પટેલના મંત્રમંડળનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. હવે 16મી સપ્ટેમ્બરે કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે, તે સામે આવી જશે. મળતી વિગતો પ્રમાણે, નવા મંત્રી મંડળમાં 12 નવા ચહેરાઓને સ્થઆન મળી શકે છે. જ્યારે કેટલાક મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતાઓ જોવાઇ રહી  છે. એટલું જ નહીં, કયા મંત્રીને કયું ખાતું મળે છે, તેના પર સૌની નજર છે. 


કચ્છમા વાસણ આહીરના સ્થાને નીમાબેન આચાર્યને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બેઠક કરવાના છે. ભાજપના તમામ ધારાસભ્યોને આવતી કાલે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 


હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નીતિન પટેલ તૈયાર થશે, તો તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે. જ્યારે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને પડતા મુકાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. કુંવરજી બાવળીયા અને સૌરભ પટેલને પણ પડતા મુકાય તેવી શક્યતા છે. 


ગુજરાતના ટોચના અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે  અને તેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે. આ કારણે તેમનાં પત્તાં કપાઇ શકે છે. સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારી કાનમગીરી કરનારાં ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 









શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેથ સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.


ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.