ગાંધીનગર: હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયું હોવાથી આગામી 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

આવા સંજોગોમાં અહીં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમૂહલગ્નમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેરાવળથી તાકિદના આદેશ આપી ગુજરાતના વહીવટીતંત્ર અને ડીઝાસ્ટર વિભાગને ભારે હાઈ અલર્ટ કર્યાં છે.

કલેક્ટર સહિતના અધિકારીઓની રજા રદ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવા હુકમ કર્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી હતી. વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે સાવધ અને કટિબદ્ધ છે એમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત મામલતદાર, પ્રાંત ઓફિસર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની રજાઓ રદ્દ કરીને હાજર રહેવા સૂચન આપવામાં આવ્યું છે.

સાવચેતીના રૂપે NDRFની ટીમો તૈનાત રહેશે. કંટ્રોલરૂમો 24 કલાક ધમધમશે તથા ભટીંડા અને પુનાથી પણ બચાવ ટુકડી આવી પહોંચશે. આ ઉપરાંત આગામી 48 કલાક સુધી હાઈ એલર્ટ પર રહી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા બધાં સાબદા રહેશે એમ જણાવ્યું હતું.