Lok Sabha Election: સમગ્ર રાજ્યમાં ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધ છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. થોડાક દિવસો પહેલા પરશોત્તમ રૂપાલાએ એક સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજની બહેનો ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી, આ પછી આખા ગુજરાતમાં રૂપાલા વિરૂદ્ધ રોષ ફેલાયો અને વિરોધ શરૂ થયો હતો, હવે આ મામલે ચૂંટણી પંચની એક્શન સામે આવી છે. પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી પંચની ક્લિનચીટ મળી છે, ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ વિરોધ શરૂ થયો છે, ક્ષત્રિય સમાજ રેલીઓ કરીને આવેદનપત્ર આપીને ટિકીટ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે, ત્યારે રાજયના ચૂંટણી પંચે રૂપાલાને ક્લિનચીટ આપી છે તાજા માહિતી પ્રમાણે, ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી આયોગની ક્લિનચીટ મળી ગઇ છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર રૂપાલાને ક્લિનચીટ મળી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે ક્લિનચીટ મળી છે. ખાસ વાત છે કે, ક્ષત્રિય સમાજે રૂપાલા વિરૂદ્ધ આ નિવદેન અંગે ફરિયાદ કરી હતી.


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.