ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવાયેલા જિલ્લાઓને લોકડાઉન હટાવાય પછી પણ કોઈ રાહત કે છૂટછાટ નહીં મળે. આ જિલ્લામાં જ્યાં સુધી કોરોનાનો એક પણ કેસ ના નોંધાય અને ગ્રીન ઝોનમાં ના આવે ત્યા સુધી ત્યાં લોકડાઉનનો કડક અમલ કરાશે.


આ યાદીમાં ગુજરાતના પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે. અણજાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એ પાંચ જિલ્લા રેડ ઝોનમાં છે. આ પાંચ જિલ્લામાં લોકડાઉન હટે પછી પણ છૂટછાટ નહીં મળે.


ગુજરાતમાં 3 મેથી લોકડાઉન હટશે કે નહીં તેની અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલાં જ લોકડાઉન સંપૂર્ણપણે નહી હટે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. રૂપાણીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી 3 મેથી ગુજરાતમાંથી એક ઝાટકે લૉકડાઉન ઊઠાવી લેવાની કોઈ જ શક્યતા નથી. આ સંજોગોમાં ગુજરાતના આ પાંચ જિલ્લામાં 3 મે પછી પણ લોકડાઉન હટે તેવી આશા રાખવા જેવી નથી. આ જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારોને રેડ ઝોન  જાહેર કરીને એ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ કરાશે.