ગાંધીનગરઃ અમદાવાદ જેમ ગાંધીનગરનાં વાવોલ ગામમાં પણ આવતી કાલથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની દુકાનો બંધ રહેશે. કરિયાણા અને શાકભાજીના વેચાણ પર પણ ગ્રામ પંચાયતે પ્રતિબંધ લગાવી દીધો છે. વાવોલ ગામમા અત્યાર સુધી ત્રણ કોરોનાં પોઝિટિવ કેસો આવતાં સંક્રમણ ન વધે તે માટે ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે.


પ્રારંભિક રીતે આવતી કાલથી ત્રણ દિવસ માટે અને આગળ જરૂર જણાય તો 15 મે સુધી બધી દુકાનો બંધ રાખવામાં આવશે. આ આદેશમાં સવારના 7 થી 11 વાગ્યા દરમિયાન દૂધનું જ વિતરણ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમજ દવાનું વિતરણ કરતા મેડિકલ સ્ટોર્સ ચાલું રહેશે.



અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ જાહેરાતનો અમલ ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.



ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે.ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા હતા.