ગાંધીનગરઃ મોંઘવારી સતત વધી રહી છે. જીવિત લોકોને મોંઘવારી મારી રહી છે પરંતુ હવે મર્યા બાદ પણ મોંઘવારી પીછો છોડતી નથી. મૃત્યુ બાદ અગ્નિ સંસ્કારમાં વપરાતા લાકડાના ભાવમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. મૃત્યુ બાદના અગ્નિ સંસ્કારમાં પણ ગાંધીનગર કોર્પોરેશને ભાવ વધારો કર્યો હતો.


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટેના લાકડાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સેક્ટર 30માં આવેલા મુક્તિધામમાં વપરાતા લાકડા માટે ભાવ વધારો લાગુ કરાયો છે. અંતિમ સંસ્કારના લાકડાની કિંમતમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગ્નિ સંસ્કાર માટે હવે પ્રતિ 20 કિલો રૂ. 100 ચૂકવવા પડશે. ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા અંકિત બારોટે સત્તાપક્ષ ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે આ લોકો મર્યા પછી પણ લોકોને લૂંટી રહ્યા છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતલાલ પટેલે ભાવ વધારો યોગ્ય અને આ ભાવ વધારો લાકડા પૂરા પાડતી એજન્સી માટે લેવામાં આવ્યો છે.


જસવંતલાલ પટેલે કહ્યુ હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી ત્યારે વાહિયાત આક્ષેપ કરે છે. કોરોનાકાળ દરમિયાન પણ કોર્પોરેશનને લોકોની સેવા કરી છે. જે એજન્સી લાકડા પ્રોવાઇડ કરે છે તેમને આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. લોકો પાસેથી અગ્નિ સંસ્કારના રૂપિયા નથી લેવાતા માત્ર એક રૂપિયો ટોકન લેવાય છે.


SURAT: સુમુલ ડેરીના 3 મોટા અધિકારીઓની અચાનક હકાલપટ્ટી કરવામાં આવતા દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ


સુરત:  સુમુલ ડેરીમાં વહીવટમાં ગેરરીતિને કારણે ડેરીના ત્રણ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. સુમુલના ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટ કરવાની વાતને લઈને શહેરની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. દક્ષિણ ગુજરાતની મોટી ડેરીમાં કર્મચારીઓનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે


સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે


હાલમાં સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે. સુમુલ ડેરી સાથે 2.50 લાખથી વધારે પશુપાલકો સંકળાયેલા છે અને ડેરીમાં રોજ 12થી 14 લાખ લીટર જેટલા દુધની આવક થઈ રહી છે. સુમલ ડેરીના ઉચ્ચ અધિકારી જીએમ. માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલ દ્વારા ગેરરીતિ આચરી હોવાની વાત સુમુલના ડિરેક્ટરોને જાણ થઈ હતી. જેના કારણે આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓેને ટર્મીનેટ કરી દેવામાં આવ્યા છે


કયા ચોક્કસ મુદ્દે તેમને ટર્મીનેટ કરવામાં આવ્યા છે તે હાલમાં જાણી શકાયું નથી. પરંતુ ડેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગતરોજ ડેરીના 4 સિનિયર ડિરેક્ટર સમક્ષ સુમુલના ઉચ્ચ અધિકારીઓએ દૂધ ચોરી થતું હોવાની સાથે સાથે સુમુલના વિવિધ પ્રોજેક્ટમાં પણ ગેરરીતિ આચરી હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા