ગાંધીનગર: પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડે ગામડાના વિકાસને લઈને મહત્વની ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, પંચાયતીરાજને વધુ ઉર્જાવાન બનાવવી એ અમારી સરકારની નેમ છે. જે અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ પંચાયત વિભાગ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહેલ છે. સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે. “આઝાદીકા અમૃત મહોત્સવ” એ દેશના લોકો, સંસ્કૃતિ અને સિધ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની યાદમાં ઉજવવામાં આવેલ આપણી દેશ વ્યાપી અને લોક કેન્દ્રીત પહેલ હતી. બે વર્ષથી વધુ એવા આ સમયગાળામાં રેકર્ડ બ્રેકીંગ જનભાગીદારી જોવા મળી છે. ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે લાખથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. 


ભારતની સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં આ એક અનોખો અને સૌથી મોટી ઉજવણીનો પ્રયાસ છે. જેમાં માતૃભૂમિને શ્રધ્ધાંજલિ આપવા “મીટ્ટી કો નમન” અને આપણા હયાત બહાદુરો અને દેશ માટે અંતિમ બલિદાન આપનાર વીરોના પરિવારજનોના સન્માન માટે “વીરો કા વંદન” હેઠળ ૨૦ લાખથી વધુ કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં સ્થાનિક બહાદુરોની બલિદાનની ભાવનાને સલામ કરતી ૧૫,૧૩૬ સ્મારક તક્તીઓ-“શિલા ફલકમ” ઉભી કરવામાં આવી. આશા વૃધ્ધિ અને અવિરતપણાની શાબ્દિક અને રૂપકાત્મક રીતે નવી કથાઓનું સર્જન કરવા “વસુધા વંદન” હેઠળ રાજ્યમાં ૧૬,૩૩૬ અમૃતવાટીકાઓ બનાવી વૃક્ષારોપણની પહેલ હાથ ધરવામાં આવી. ભારતભરના ઘરોમાંથી માટીનો સંગ્રહ કરી સ્થાનિક સંસ્થાઓના સ્થળેથી ઘરોમાંથી એકત્ર કરાયેલ માટીનુ મિશ્રણ- “અમૃત કળશ” તૈયાર કરી ગુજરાતની ભૂમિભક્તિને ૩૦૮ અમૃતકળશ મારફત ૮૦૦ યુવાઓ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવેલ. તેમાંથી દિલ્હી ખાતે અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર આપણી સરકાર દ્વારા આઝાદીના ગૌરવપ્રદ ઇતિહાસને બિરદાવવામાં આવી રહ્યો છે. 


ગુજરાતે અમૃતકાળમાં અમૃત બજેટ બનાવીને વિકસિત નવભારતના નિર્માણ માટે યુવા શક્તિના વિકાસને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. રોકાણો અને ઉદ્યોગો વધતા ગુજરાતના યુવાનોને ઉદ્યોગ સાહસિકતા પણ વધી છે. આજે આપણું ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે. હાલ સુધીમાં ૮૬૬ ઔદ્યોગિક ભરતી મેળાના આયોજનથી ૮૪,૫૫૪ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. સરકાર દ્વારા અસંગઠિત શ્રમ યોગીઓનો પણ વિચાર કરી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમ યોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં કુલ ૧ કરોડ ૧૪ લાખ ઉપરાંત અસંગઠીત શ્રમ યોગીઓની નોંધણી કરવામાં આવેલ છે. વધુમાં બાંધકામ શ્રમિકોને તેઓના કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ઠ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના સસ્તા ભાડાના કામ ચલાઉ આવાસો મળી રહે તથા બાંધકામ શ્રમ યોગીઓના જીવન સ્તરમાં વધારો થાય તે હેતુથી શ્રમિક બસેરા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. 


ભૂપેન્દ્ર પટેલના  નેતૃત્વમાં અનેકવિધ નિતિઓ, યોજનાઓ, વહિવટી પ્રતિબધ્ધતા અને સેવાનું સરળીકરણ જેવા સામાન્ય જનતાને અસર કરે તેવા અનેક અસરકારક નિર્ણાયક નિર્ણયો લઈને નિતિ અને નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી શિક્ષા નિતિ-૨૦૨૦ દ્વારા શિક્ષણનું રીવોલ્યુશન કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણા દેશને આપ્યુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકાનો ફરજીયાત સાર્વત્રિક અમલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રાજ્યમાં કુલ ૫,૧૬,૬૨૧ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ છે. રાજ્યમાં સામાજીક અને આર્થિકક્ષેત્રોમાં યુનિવર્સીટીઝની સહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત પબ્લીક યુનિવર્સીટી એક્ટ-૨૦૨૩નો અમલ કરાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના પ્રવેશ, પરિણામ અને રોજગાર સુધીની સર્વ માહિતી મેળવવાના મુખ્ય ઉદ્દેશથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની ક્ષમતામાં વધારો થાય તે હેતુથી આપણી સરકાર દ્વારા “સામર્થ્ય” યોજના શરૂ કરવામાં આવી છે.નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓના ફીના ભારણને ઘટાડવા માટે સામર્થ્ય સંસ્થાન યોજના અંતર્ગત ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલ- GCAS શરૂ કરવામાં આવેલ છે. 


આપણા ગુજરાતમાં નાગરીકોને સારાવારને શ્રેષ્ઠ સુવિધા મળે અને તેઓ નિરોગી બને તે અમારી સરકારની કટિબધ્ધતા છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વિમા કવચ “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અને ગુજરાતની “મા યોજના”નું સંકલન થતાં ગુજરાતના ગરીબ અને મદયમવર્ગીય પરિવારોની આરોગ્ય વિષયક ચિંતા દુર થઇ જવા પામી છે. લોકોના આરોગ્ય માટે સુરક્ષાકવચ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા પી.એમ.જે.એ.વાય.-માં યોજના હેઠળ પ્રતિ વર્ષ કુટુંબદીઠ રૂ.૧૦.૦૦ લાખ સુધીની ૨૪૭૧ નિયત કરેલ પ્રોસીઝર માટેનું આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના હેઠળ હાલ સુધીમાં કુલ ૨.૩૩ કરોડ લાભાર્થીઓની નોંધણી કરીને આયુષ્માન કાર્ડ આપેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ થકી રાજ્યમાં લોકોની આરોગ્ય સુખાકારી “હેલ્થ અને વેલનેસ” બન્ને દ્રષ્ટીકોણો સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર ઉપચારાત્મક અને નિવારણ, એમ બન્ને પ્રકારની સેવાઓ પુરી પાડવા કટિબધ્ધ છે. ઉપરાંત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષમાં ૧.૩૨ કરોડથી વધુ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આમ, આપણી સરકાર દ્વારા “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ”ના વિવિધ સુચકાંકો પૈકી “સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારી”ના ગોલને હાંસલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.    


વિકસિત ભારત સંકલ્પ યોજના અંતર્ગત અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં સિકલ સેલ એનીમીયા નાબુદી, એકલવ્ય મોડલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર અને વન ધન વિકાસ કેન્દ્રની વધારાની યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે. પંચાયતી રાજ મંત્રાલયની પહેલ રૂપે ૨૦૩૦ના સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ૧૭ સસ્ટેનેબલ ડેવલેપમેન્ટ ગોલને ૯ વ્યાપક થીમમાં એકીકૃત કરવામાં આવેલ છે. પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા આ ૯ થીમ આધારીત સ્થાનિક ધ્યેયો પર કામગીરી કરવા પંચાયત સ્થળે વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી અને તેમની પ્રગતિનું મુલ્યાંકન અને સિધ્ધિ માટે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ હેઠળ સબંધિત તમામ કેન્દ્રીય મંત્રાલયો સાથે સંકલન સાધી “પંચાયત વિકાસ સૂચકાંક” (PDI) ની રચના કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ પંચાયત સ્તરેથી તથ્ય આધારિત મૂલ્યાંકન/આયોજન થવાથી ગ્રામ વિકાસના કામોની ગુણવત્તામાં સુધારો થશે. પંચાયત વિકાસ સુચકાંકએ પંચાયતોની પ્રગતિનું રીપોર્ટ કાર્ડ બનવાની સાથે દરેક વિભાગોને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે ખૂબ ઉપયોગી માધ્યમ બની રહેશે. સરકાર દ્વારા “પંચાયત વિકાસ સૂચકાંક” (PDI) માટે રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ગવર્નીંગ બોડીની રચના કરવામાં આવેલ છે. “પંચાયત વિકાસ સૂચકાંક” (PDI) ઉપલબ્ધ ડેટા, સબંધિત તમામ વિભાગો માટે આગામી આયોજન, યોજનાઓના અમલીકરણ અને દેખરેખ માટે એક મજબુત આધાર તરીકે કામ કરશે. 


ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી ગુજરાત સરકાર ધ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. રાજયની ત્રિસ્તરીય પંચાયતીરાજની સંસ્થાઓ જેવી કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ઇન્ટરનેટના માધ્યમથી રાજયના સચિવાલય સાથે સાંકળી પંચાયતીરાજની સંસ્થાઓનું સુદ્દઢીકરણ કરવાનું આયોજન ધ્યાને લઇ વર્ષ ૨૦૦૭-૦૮માં ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની રચના કરવામાં આવેલ. હાલ રાજયમાં કુલ ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટર કાર્યરત છે.


ઇ-ગ્રામ સેન્ટર ઉપર G2C પ્રકારની ૩૨૧ સેવાઓ અને B2C પ્રકારની ૫૫ સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જન્મ અને મરણનો દાખલો, વિધવા સહાયનો દાખલો, રેશનકાર્ડ, મા-કાર્ડ વગેરેને લગતી કામગીરી, ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી, ૭/૧૨, ૮-અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી/ગેસ બીલ કલેકશન, નોકરી માટેના ઓનલાઇન અરજીપત્રો વિવિધ ફોર્મ્સ, ધોરણ-૧૦ અને ૧૨ ના રીઝલ્ટ, આવકનો દાખલો, વિવિધ સેવાઓ માટેના સોગંદનામાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્રારા આધાર ઇનેબલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, રીચાર્જ, ટ્રાવેલ ટીકીટ, ઇન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુલ ફંડ જેવી B2C સેવાઓ પુરી પાડવામાં આવી રહેલ છે. આમ, રાજય સરકારની વિવિધ સેવાઓ તેમજ વાણિજ્યિક સેવાઓ ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએથી મળવાને કારણે તેઓના સમય અને નાણાંનો બચાવ થાય છે અને ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તાર જેવી જ સેવાઓ મળી રહે છે.


ભારત સરકાર દ્રારા ડીજીટલ સેવા સેતુની જેમ ગ્રામજનોને ગામમાં જ ઇ-સેવાઓ મળી રહે તે હેતુથી કોમન સર્વિસ સેન્ટર યોજના દેશમાં લાગુ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજય દ્રારા અગાઉથી જ ઇ-ગ્રામ યોજના શરૂ કરેલ હોઇ તેની નોંધ લઇ ભારત સરકાર દ્વારા તા.૦૪/૦૨/૨૦૧૦થી તમામ ઇ-ગ્રામ સેન્ટરને કોમન સર્વિસ સેન્ટર જાહેર કરવામાં આવેલ છે. આમ, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી વિકાસને વરેલી આ સરકાર ડીજીટલ ઇન્ડીયા દ્રારા ડીજીટલ સેવાસેતુ થકી આત્મનિર્ભર ભારતની પ્રતિબધ્ધતા સાકાર કરી ગુજરાત દેશનું દિશાનિર્દેશક બની રહેલ છે.


કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ગત વર્ષે રાજ્યમાં કુલ ૨૨,૪૮૯ એકર વિસ્તારમાં ખેડુતોને લાભ આપવામાં આવેલ. કૃષિ મહોત્સવ જેવા રાજ્ય સરકારના આયોજનબધ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધ્યો છે. પ્રાકૃતિક કૃષિને ગુજરાતે વિશેષ પ્રાધાન્ય આપી ખેડુતોને વધુ ઝડપથી સમૃધ્ધ કરવાની દિશામાં મક્કમ પગલાં લીધા છે. પ્રાકૃતિક કૃષિને રાજ્યમાં વેગ મળે તે માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિના અમલ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રાકૃતિક કૃષિ અપનાવી ચુકેલ સફળ ખેડુત દ્વારા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આજદિન સુધીમાં ૧૫૪૦૭.૮૨ કરોડની રકમ ખેડુત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મિલેટ પાકોના ઉત્પાદનમાં તેમજ રોજીંદા જીવનમાં વપરાશમાં પણ વધારો થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. 


રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા રાજ્યના ખેડુતોને તેમના ખેતીવાડી વીજજોડાણનો વીજભાર નિયમિત કરાવી શકે તે માટે જાહેર કરવામાં આવેલ સ્વૈચ્છિક જાહેરાત યોજના ૨૦૨૨ અંતર્ગત કુલ ૫૦ હજારથી વધુ ખેડુતોએ લાભ લીધેલ છે. રાજ્યના ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ૭૦૮૪ ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને મારા વિભાગ દ્વારા ખેડુતોને લક્ષમાં રાખી લેવામાં આવેલ નિર્ણયો સરકારની તેમના પ્રત્યેની સંવેદનશીલતા છતી કરે છે. 


રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી સહાયની વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લાભાર્થીઓને વચેટીયાઓને નાબુદ કરી સીધો લાભ અંતરિયાળ વિસ્તારના વંચિત લોકોને મળી રહે અને આ લાભ મેળવી તેમના જીવનધોરણ ઉન્નત થાય અને તેઓ વિકાસની ધારામાં જોડાય તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા થકી વંચિતોને વિકાસના પ્રવાહમાં સામેલ કરેલછે અત્યાર સુધીમાં કુલ ૧,૬૦૪ ગરીબ કલ્યાણ મેળા મારફતે રાજ્યના જુદા જુદા વિભાગોની વિવિધ યોજનાઓ અન્વયે કુલ ૧.૬૬ કરોડ લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે. 


રાજ્યમાં પંચાયતી રાજના સફળ સંચાલન અને સુદ્રઢીકરણમાં ગામડાઓ વિકાસની હરણફાળમાં પાછળ રહી ન જાય તેવા દ્રઢ સંકલ્પ સાથે અને આ વિચારને સાચા અર્થમાં અમલમાં મુકવા માટે ભારત સરકાર દ્વારા ૧૫માં નાણાંપંચના સમયગાળા દરમ્યાન વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજ્યને કુલ રૂ.૧૫,૬૫૦ કરોડની માતબર રકમ કેન્દ્ર સરકાર તરફથી મળનાર છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોને મંજુર કરવાની પ્રક્રિયા વધુ સરળ બને તથા કામો ઝડપી તેમજ ગુણવત્તા સભર થાય તે માટે તાંત્રિક અધિકારીશ્રીના તાંત્રિક મંજુરીના મૂળ સિવિલ કામના અધિકાર સોંપણીમાં ફેરફાર કરી તાંત્રિક સત્તાઓ વધારવામાં આવેલ છે. 


સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ ભારત સરકારના આવાસન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શહેરોમાં સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે, સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૩માં સુરત મહાનગરપાલિકાને ઇન્દોરની સાથે દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સ્વચ્છતા અને માળખાકીય સુવિધાને શહેરો પુરતી મર્યાદિત ન કરતાં રાજ્ય સરકારે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી માળખાકીય સુવિધા પુરી પાડવા માટે રૂર્બન માળખાકીય સુવિધા આયોજન અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ પ્લાનની યોજના વર્ષ ૨૦૦૯-૧૦ થી અમલમાં મુકેલ છે. ગામડાઓને શહેરની સમકક્ષ તમામ સુવિધાઓ મળે તે માટે અને ગ્રામ્ય અને શહેર વચ્ચેની ખાઈ દુર કરવાના અભિગમ સાથે રાજ્ય સરકારે રૂર્બન પ્રોજેક્ટ હાથ ધરેલ છે. ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ૧૧૮ ગામો, તાલુકા મથકવાળા ૧૦,૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતા ૮૨ ગામો અને આદિજાતિ વિસ્તારના ૭,૦૦૦ની વસ્તી ધરાવતા ૫૫ ગામો મળી કુલ ૨૫૫ ગામોમાં હાલ પુરતા ભુગર્ભ ગટરનું માળખુ પુરૂ પાડવાનું આયોજન કરેલ છે. 


ગ્રામીણ વિસ્તારમાં શહેરો જેવી સ્વચ્છતા અને સુવિધા પુરી પાડવા તમામ ગામડાઓમાં સ્વચ્છતાની વણથંભી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા ગામડાઓને વધુ સ્વચ્છ બનાવવા તેમજ રોગોનો ફેલાવ અટકાવવા તથા સ્વચ્છતા ક્ષેત્રે રોજગારીની નવી તકોનું નિર્માણ કરવા અને તે દ્વારા ગ્રામ પંચાયતોનું સશક્તિકરણ કરી સુખી અને સ્વસ્થ ગ્રામીણ સમાજના નિર્માણના કલ્યાણકારી ઉદ્દેશ સાથે સ્વચ્છતા એ જ સેવા હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પસંદગી કરેલ ગામોના ક્લસ્ટરમાં ઘરે ઘરેથી કચરાનું એકત્રીકરણ, સેગ્રીગેશન શેડખાતે કચરાનું વર્ગીકરણ કરી વૈજ્ઞાનિક ઢબે અજૈવિક કચરાનોનિકાલ તથા જૈવિક કચરાનો ગોબરધન પ્લાન્ટમાં ઉપયોગ કરી નિકાલ માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. જેનાથી ગ્રામ્ય કક્ષાએ લોકોમાં ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન પણ મળશે. વધુમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રામ પંચાયતોને સફાઈના સાધનો પુરા પાડી એકત્રીત કરેલ કચરો લેન્ડફીલ સાઈટ સુધી લઈ જવા પરિવહન સહાય સહાય આપીને તથા “ઉકરડા વ્યવસ્થાપન કરીને ઉકરડા મુક્ત ગામ” બનાવવા માટે સફાઈને લગતા કામો હાથ ધરીને સફાઈ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરીને વધુ સારા સ્વસ્થ સમાજનો નિર્માણ કરવાનો ઉદ્દેશ છે.


 અંબાજી શક્તિપીઠ અને પાવાગઢ જેવા યાત્રાધામોમાં નવતર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતે સ્વચ્છ યાત્રાધામની પહેલ શરૂ કરી છે અને ધાર્મિક યાત્રાધામ સ્થળોની સફાઈની ઝુંબેશ ઉપાડી છે. ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન સુવિધાઓ તરફ અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે જેમાં નાના-મોટા તમામ શહેરોમાં વૈશ્વિક કક્ષાનું એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેશોદ એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત, કેશોદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે તેમજ વિશ્વકક્ષાનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે, જેનાથી ગુજરાતનું કચ્છ તેની કુદરતી સંપદા તેમજ મહેમાનગતિના કારણે વિશ્વવિખ્યાત બન્યું છે. આ ઉપરાંત ઇન્ડિયા ટુરીઝમ સ્ટેટસ ૨૦૨૩ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.