ગાંધીનગરઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા પછી તોડફોડ શરૂ કરી છે. કોંગ્રેસના બે ધારાસભ્યો જે.વી. કાકડિયા અને સોમાભાઈ ગાંડાભાઈ કોળીપટેલે રાજીનામાં આપી દીધાં છે. તેના કારણે કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે ત્યારે હવે કોંગ્રેસના બે વધુ ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનાં રાજીનામાં મોકલી આપ્યાં હોવાના અહેવાલ છે.


સ્પીકરને રાજીનામાં મોકલી આપનારા બીજા બે કોંગ્રેસી ધારાસભ્યોમાં અમરીશ ડેર (રાજુલા) અને પદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા)નો સમાવેશ થાય છે. આ વાતને સત્તાવાર રીતે સમર્થન મળથું નથી. મીડિયાએ વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, તેઓ વડોદરા છે અને તેમને આ અંગે કંઈ ખ્યાલ નથી.

ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું: કોંગ્રેસના કયા બે ધારાસભ્યોએ રાતોરાત આપી દીધાં રાજીનામાં, જાણો

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને જયપુર જવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી સૂચના મળી હતી પરંતુ કોઈ કારણસર તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ન હતા. તેના કારણે તેમણે રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા ચાલી રહી છે. અમરીશ ડેરનો પણ સંપર્ક ના થઈ શકતાં તેમણે પણ રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે.