ગાંધીનગરઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ ગણાતા નવરાત્રીની દર વર્ષે ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્યમાં ગરબા આયોજન કરતી ક્લબો, સંસ્થાએ મોકૂફ રાખ્યા છે. આ દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે.


નવરાત્રિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ છે. વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરશે નહીં. કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષોથી ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થાય છે, પરંતુ આ વર્ષે તેને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ ચાલુ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

કલાકારોની ગરબા યોજવા દેવાની માંગને લઈ રાજ્ય સરકારે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. થોડા દિવસો પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશને પત્ર લખીને ગરબાના આયોજનને મંજૂરી ન આપવાની રજૂઆત કરી હતી.