નરેન્દ્રભાઈ મોદીના શાસનના આજે 23 વર્ષના પૂર્ણ થયા છે. આજથી 23 વર્ષ પહેલા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબા કાર્યકાળની સિધ્ધી પ્રાપ્ત કરીને તેઓ પ્રધાનમંત્રી બન્યા અને આજે છેલ્લા 10 વર્ષથી આ પદ સતત ગૌરવપૂર્ણ રીતે ચલાવી રહ્યા છે. તેમના શાસનના 23 વર્ષ દરમિયાન ભારત અનેક સિદ્ધિ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. ગુજરાતના વડનગરથી વિશ્વગુરુ તરફની તેમની આ યાત્રામાં તેમની મહત્વની 23 સિદ્ધિ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. 




નોટબંધી, ટ્રિપલ તલાક, જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી વિશેષ દરજ્જો આપવો, કોરોના મહામારીથી દેશને સુરક્ષિત રીતે બહાર લાવવાથી લઈને રામ મંદિરના નિર્માણ સહિત અનેક સિદ્ધિ સાકાર થઈ છે. જોકે પ્રધાનમંત્રી તરીકેના તેમના આ નિર્ણયો પહેલા એક દાયકો તેમના માટે ખૂબ જ કસોટીભર્યો રહ્યો અને તે હતો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2001ના 7 ઓકટોબરે શપથ લીધા ત્યારે ગુજરાત અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યુ હતું. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને લઈને રાજય સરકારની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા.  ત્યારે દિલ્હીમાં અટલબિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બદલાવી સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 




અમદાવાદમાં યોજાયેલા સાદગીપૂર્ણ શપથ સમારોહ બાદ પદભાર સંભાળીને તેઓેએ કચ્છના પુનર્વસન માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી.  કચ્છને ઊભુ કરવામાં તેમની સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.  જેને લઈને આજે કચ્છ વિશ્વફલક પર તેનું નામ અંકિત કરવામાં સફળ રહ્યું છે. ગુજરાતને વિકાસના મોડલ તરફ લઈ જવા માટે તેઓએ ઉદ્યોગ માટે સરળ નીતિઓ અને દેશ વિદેશના ઉદ્યોગપતિઓને આકર્ષવા માટે વાઈબ્રન્ટ ગુજરાતની શરુઆત કરી. સરકાર દ્રારા ઉદ્યોગ માટે તમામ સવલતો સાથે સરળતાને પગલે ઉદ્યોગ સાહસિકોએ ગુજરાતમાં પોતાના ઉદ્યોગ લઈ આવ્યા. કચ્છના પુનર્વસન સાથે ત્યાં ઉદ્યોગ સ્થાપનાર ઔદ્યોગિક ગૃહોને ખાસ ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યા. 



કોઈપણ રાજય કે રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેંદ્રભાઈએ શિક્ષણ દરને ઊંચો લાવવા ખાસ કરીને કન્યા શિક્ષણ માટે તેઓએ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરી. આ કાર્યક્રમમાં છેવાડાના ગામ અને જિલ્લાને જોડવા તેમણે કાર્યક્રમોમાં જવાનુ શરુ કર્યું અને તેનુ ખૂબ જ સારુ પરિણામ જોવા મળ્યું. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન તેમજ વાંચે ગુજરાત જેવા અભિયાન દ્રારા તેમણે શિક્ષણના સ્તરને મજબૂત કરવાનું કાર્ય કર્યુ. તેઓએ કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કૃષિ મેળાનું આયોજન કર્યુ. જેના ફળસ્વરુપે ગામડામાં હરતી ફરતી લેબોરેટરી દ્રારા જમીન પરિક્ષણ કરીને ખેડૂતોને જમીન અનુરુપ પાકનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી શકે તે માટે વૈજ્ઞાનીકો દ્રારા માર્ગદર્શન આપવાનુ શરુ કર્યુ. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો સારી આવક રળી શકે તે માટે કામગીરી કરી. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ચેકડેમો નિર્માણ કરવામાં આવ્યા અને પાણીની સ્થિતીને સુધારી ખેતી અને ઉદ્યૌગ માટે પાણીની જરુરીયાતને ધ્યાને લઈને તેઓએ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના નિર્માણ કાર્યને આગળ વધાર્યુ. પાણી વિતરણ યોજનાને આગળ વધારી સુકાભઠ્ઠ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી કેનાલો મારફતે પહોંચાડવામાં આવ્યું.  આ માટે તેમણે કેંદ્ર સરકાર સામે લડત આપીને ગુજરાતને પાણીના દુષ્કાળથી બચાવવાનું અભિયાન શરુ કરેલું તેમાં જીત મળી હતી.  




ગુજરાતમાં વિજળી 24 કલાક મળી શકે તે કોઈ વિચારી ન શકે તેવુ કાર્ય જયોર્તિગ્રામ યોજના દ્રારા સાકાર કરવામાં આવ્યું. ગુજરાત વિધુત બોર્ડના વહિવટને સુધારી ચાર ઝોનમાં અલગ કરીને તેમને વીજ ચોરીને ડામવામાં સફળતા પ્રાપ્ત કરી. આજે ગુજરાતમાં 24 કલાક વિજળી ઉપલબ્ધ છે જેના કારણે ગુજરાતમાં  દેશમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે.


વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવા શ્રેય પણ નરેંદ્રભાઈ મોદીને જાય છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. નરેંદ્રભાઈના ધ્યાને આ વાત ઘણા સમયથી હોઈ ત્યારે તેઓએ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા કેમ ન બનાવી શકાય અને થોડા વર્ષોની મહેનત બાદ આકાર પામ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી. જે આજે વિશ્વભરમાં પ્રવાસીઓ માટે આર્કષણનું કેંદ્ર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણના પગલે આ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી છે. 





નરેંદ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકે ના 2014થી 2024 સુધીમાં અનેક યોજના અને નિર્ણયો આજે દેશને વિશ્વ સમક્ષ અલગ ઊંચાઈએ લઈ ગયા છે. સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના દ્રારા કરોડો ગરીબ લોકોના ખાતા ખોલી સરકારની વિવિધ યોજના અને સબસીડીનો ફાયદો સીધો તેમના ખાતામાં મળતો થયો.  ભારતના યુવાનોમાં કૌશલ્યનો અખુટ ભંડાર રહેલો છે અને તેથી તેમને મેક ઈન ઈન્ડીયા દ્રારા તેમણે દેશમાં બેઠા બેઠા વિશ્વ સાથે તાલમેલ મેળવીને પોતાની કારર્કિદી બનાવવાનો વિચાર સાબિત કરી બતાવ્યો. ડિજિટલ યોજના, ઉજવવલા યોજના, આયુષ્યમાન ભારત દ્રારા મધ્યમ અને ગરીબ વર્ગને મોંધી સારવાર અને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવી. જી .એસ.ટી , નોટબંધી દ્રારા કાળુ નાણું ફરતું અટકાવવાનુ કામ હોય કે પછી આરોગ્ય, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રે આત્મનિર્ભર દેશને  આત્મનિર્ભર બનાવ્યો. કિસાન સન્માન નિધિ દ્રારા ખેડૂતોને નાણાકીય સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્રારા સહાય આપી ગરીબ અને મધ્યમ વર્ગનું સપનું સાકાર કર્યુ. 'સબ કા સાથ સબકા વિકાસ' સુત્ર દ્રારા સર્વાંગી વિકાસ કર્યો. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અનેક શહેરોનો વિકાસ કરવામાં આવ્યો. ભારતની ક્ષમતાનો પરિચય અંતરીક્ષમાં ચંદ્રયાનને સફળતા પૂર્વક ઉતારીને વિશ્વમાં ડંકો વગાડ્યો હતો.