વલસાડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે. મળતી જાણકારી અનુસાર, વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દર્દીને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના બાદ કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતા સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.


બીજી તરફ રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. 


રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક અઠવાડિયામાં શહેરની સરકારી હૉસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના ના 9, ચિકનગુનિયાના 8, શરદી-ઉધરસના 822 અને ઝાડા ઉલટીના 180 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓના ધસારાને જોતા સરકારીની સાથે સાથે ખાનગી હૉસ્પીટલો પણ ઉભરાઇ રહી છે. ખાસ વાત છે કે, રાજકોટ શહેરની વિસ્તારની સાથે સાથે હવે રોગચાળાની ઝપેટમાં ગ્રામ્ય વિસ્તારો પણ આવી રહ્યાં છે.


રાજ્યમાં હાર્ટ અટેકના કારણે યુવાનોના મોતમાં વધારો


રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે.


રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે.વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી. થોડા દિવસ પહેલા નવરાત્રિ સમયે અંદાજે 24 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જેની તુલનામાં વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે.