ખેડા: ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામના વૃદ્ધ દંપત્તિએ હિજરત કર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વૃદ્ધ દંપત્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના ઉપસરપંચ દ્વારા તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે છે. તમામ ફરિયાદ સાથે વૃદ્ધ દંપત્તિ ફુલાભાઈ અને તેમની પત્ની મંજુલાબેન ન્યાય માટે સેવાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.પોલીસે વૃદ્ધ દંપતિની અરજી સ્વીકાર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તો બીજી તરફ ઉપસરપંચ હર્ષદભાઈ મકવાણા દ્વારા તેમની પર લગાવેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા.


મૂળ હિન્દુ વૃદ્ધ પતિ પત્નીને ગામના ઉપસરપંચ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો છે. વૃદ્ધ પતિ પત્નીના કુટુંબીજનોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. પરંતુ આ વૃદ્ધ પતિ પત્ની ખિસ્તી ધર્મ અપનાવવા માગતા નથી. ખ્રિસ્તી ધર્મ નહીં અપનાવતા વૃદ્ધ પતિ પત્નીએ ગામમાંથી  હિજરત કરવી પડી હોવાનો આક્ષેપ લાગ્યો છે. હિજરત કર્યા બાદ વૃદ્ધોના ઘર પાછળ રહેલા સામાનને વેરવિખેર કરવામાં આવ્યો. તો બીજી તરફ વૃદ્ધ દ્વારા ગામના મુસ્લિમ સરપંચને રજૂઆત કરતા મુસ્લિમ સરપંચે પણ ઉપસરપંચની વાત માનવા માટે  દબાણ કર્યું. ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત પાંચ લોકો સામે ન્યાય માટે વૃદ્ધ અને વૃદ્ધા પોલીસના શરણે પહોંચ્યા છે.


 અમદાવાદમાં યોજાનારી રથયાત્રા બનશે યાદગાર


 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ,મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિ રાજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રા સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. 


આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ,નિજમંદિર,સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નિગરાની રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3 ડી મેપિંગથી નિગરાની રાખવાનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા કે ફોન-વ્હોટસએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી.








મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં આપવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું કે,અમદાવાદની રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી - કર્મચારીઓ ફરજરત રહેવાના છે. એટલું જ નહીં, 45 જેટલા સેન્સિટીવ લોકેશન પરથી 94 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.


આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો,યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસે બે મહિના પહેલાંથી જ રથયાત્રાની જે તૈયારીઓ કરી છે તેનાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.


ગૃહ રાજ્યમંત્રીએ આ તૈયારીઓનું વિવરણ આપતા કહ્યું કે,રથયાત્રા રૂટથી પોલીસ અધિકારીઓને પરિચિત કરાવવા એરિયા ફેમિલરાઇઝેશન અન્વયે પેટ્રોલિંગ કરવામાં આવેલું છે.એરિયા ડોમિનેશન અન્વયે ફૂટ પેટ્રોલિંગ કરીને જે તે વિસ્તારમાં પોલીસની પ્રેઝન્સ અનુભવાય તેવી કાર્યવાહી 3,732 ફૂટ પેટ્રોલિંગ થી કરાઈ છે. આ ઉપરાંત 32 ઉડાન દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું છે. 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે.


 તેમણે આ રથયાત્રા દરમિયાન કોઈ અનઅધિકૃત ડ્રોન ઉપયોગમાં ન લઈ શકાય તે માટે એન્ટી ડ્રોન ટેકનોલોજીનો પણ આ વખતે પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે તેની વિગતો પણ આપી હતી. રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા-આસ્થાથી ઉજવાય તે માટે સર્વધર્મ બ્લડ ડોનેશન કેમ્પ,ક્રિકેટ ટૂર્નામેન્ટ,શાંતિ સમિતિની બેઠકો,મહોલ્લા સમિતિની બેઠકો પણ પોલીસતંત્ર દ્વારા યોજવામાં આવી છે તેની વિગતો ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી. હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં રથયાત્રાઓ યોજાય છે ત્યાં કોમી સંવાદિતા,સૌહાર્દ અને સલામતીના વાતાવરણમાં પાર પાડવા રાજ્ય પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીને આ બેઠકમાં આપ્યો હતો.