Rath Yatra Mahotsav: ભારત દેશ વિવિધતા અને સંસ્કૃતિથી ભરેલો દેશ છે, દરેક ગામ અને રાજ્યમાં જુદીજુદી પરંપરા છે. આવી જ એક પરંપરા રથયાત્રાના પવિત્ર તહેવારની પણ છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આખા દેશભરમાં રથયાત્રાનો પવિત્ર પર્વ ઉજવવામાં આવતો હોય છે ગુજરાતના નાના-મોટા દરેક મંદિરોમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ શું તમે જાણો છો, ગુજરાતનું એક મંદિર એવુ પણ છે જ્યાં અષાઢી બીજ નહીં પરંતુ ત્રીજના દિવસે નીકળે છે રથયાત્રા. નહીં ને, હા, આ મંદિર છે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર.


ડાકોર મંદિરની અનોખી પરંપરા છે, અને યાત્રાધામ ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય નક્ષત્ર આવતું હોય તે દિવસે રથયાત્રા નીકળતી હોય છે જ્યારે આ વર્ષે પુષ્ય નક્ષત્ર અષાઢી ત્રીજ એટલે કે 21 જૂનના દિવસે છે માટે ભગવાન રાજા રણછોડની રથયાત્રા 21 જૂનના દિવસે નીકળશે.


સૌથી જૂની રથયાત્રા ડાકોરની ગણવામાં આવે છે અમદાવાદની રથયાત્રા 20 જૂન એટલે કે અષાઢી બીજના દિવસે નીકળશે, પરંતુ પુષ્ય નક્ષત્ર ત્રીજના દિવસે હોય ડાકોરમાં 21 જુને રથયાત્રા નીકળશે આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે, આ રથયાત્રા સવારે 9:00 વાગે નિજ મંદિરમાંથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે નિજ મંદિરમાં પહોંચ્યા બાદ રાજા રણછોડના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે


સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે જેમાં એક ચાંદીનો રથ એક લાકડાનો રથ અને એક હાથીદાંતથી બનેલા રથનો ઉપયોગ કરવામાં આવશે, સાથે સાથે પાલખી અને ભગવાનની સોનાની ખુરશીનો પણ ઉપયોગ કરવામાં આવશે પરંપરા પ્રમાણે વર્ષોથી આ રથયાત્રા દરમિયાન હાથીની પણ સવારી નીકળતી હતી પરંતુ મંદિરના ઘેર વહીવટને લઈ છેલ્લા ઘણા સમયથી હાથીની સવારીના વૈભવથી ભગવાન વંચિત રહે છે તો આ ઘેર વહીવટના કારણે ભક્તોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે.